'રાહુલ ગાંધી સાથેની ભેદી મુલાકાત અંગે હાર્દિક પટેલ આપે જવાબ'
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે પત્રકાર પરિષદ સંબોધી હતી, તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ રાહુલ ગાંધીની મુલાકાત અંગે સ્પષ્ટીકરણ આપે.
પાટીદાર નેતા હાર્દિક પટેલે સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અમદાવાદની હોટલમાં મુલાકાત કરી હતી કે નહીં? આ પ્રશ્ન છેલ્લા 2 દવિસથી સતત ચર્ચાઇ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે હાર્દિક પટેલનું સ્પષ્ટીકરણ માંગ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ, બુધવારે અન્ય સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં હાર્દિક પટેલ તાજ ઉમ્મેદ હોટલના રૂમ નંબર 224માં બહાર નીકળતા જોવા મળે છે અને થોડા સમય બાદ રાહુલ ગાંધી પણ એ જ રૂમમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આથી નીતિન પટેલે માંગણી કરી છે કે, તેઓ બને તો તુરંત ડીજિટલ મીડિયાને માધ્યમથી લોકોને જવાબ આપે કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત શા માટે કરી હતી અને તેને ગુપ્ત કેમ રાખી?
'હાર્દિકે ભેદી મુલાકાત કેમ કરી?'
નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને હાર્દિક પટેલ દ્વારા આ મુલાકાતને છુપાવવાનો પ્રયત્ન થયો છે. નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી હવે હાર્દિકનો ભાંડો ફૂટી ગયો છે. હાર્દિક પટેલ રૂમ નંબર 224માં ગયા હતા, ત્યાં તેમણે 1 કલાક રાહુલ ગાંધીની રાહ જોઇ ત્યાર બાદ બંને વચ્ચે 55 મિનિટ લાંબી મીટિંગ થઇ હતી. હાર્દિક જણાવે કે તેણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ભેદી મુલાકાત કેમ કરી અને જો આ મુલાકાત ભેદી નહોતી તો તેને છુપાવવાનો પ્રયત્ન કેમ કર્યો? હું પણ પાટીદાર સમાજનો સભ્ય છું અને હાર્દિકને પૂછવા માંગુ છું કે તેણે આ મુલાકાત સમાજથી કેમ છુપાવી? કોંગ્રેસે એવું તો શું આપ્યું છે કે ગુપ્ત રાખવું પડે?'
કોંગ્રેસનો પણ ભાંડો ફૂટ્યો
કોંગ્રેસ પર પ્રહાર કરતાં નીતિન પટેલે કહ્યું કે, મીડિયા અને સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ બહાર આવતાં કોંગ્રેસનો પણ ભાંડો ફૂટી ગયો છે. પહેલા હાર્દિક પટેલની જેમ જ કોંગ્રેસે પણ મુલાકાત થઇ હોવાની વાતને રદિયો આપ્યો હતો. પછીથી અશોક ગેહલોતે સ્વીકાર્યું કે, હાર્દિક સાથે મુલાકાત થઇ હતી અને હાર્દિકે પણ સ્વીકાર્યું. હાર્દિકે હજુ પણ મુલાકાત નથી થઇ એ જ રટણ પકડી રાખ્યું છે અને તેણે લોકોને તથા પાટીદાર સમાનજને અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો છે.
'રાહુલ ગાંધી સાથે શું સોદા કર્યા?'
નીતિન પટેલે આગળ જણાવ્યું કે, 'સરકારે પાટીદારોની માંગણીઓ પૂરી કરવાના બનતા પ્રયત્નો કર્યા છે. એ સૌને તેમણે લોલિપોપ ગણાવ્યા છે. અહીં આવી સરકાર સાથે બેઠક પણ કરી છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી કશું નથી કર્યું. કોંગ્રેસે પાટીદાર સમાજ માટે શું કર્યું કે શું કરશે એ અંગે હાર્દિક જવાબ આપે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાર્દિકે તેમની સાથે સમાજના હિતની શું વાતો કરી, શું સોદા કર્યા એ જણાવે અને તુરંત જણાવે. બને તો ડીજિટલ મીડિયાના માધ્યમ દ્વારા આ સવાલોના તુરંત જવાબ આપે.'