ગુજરાતનો વિકાસ રાજકીય સ્થિરતાને આભારી : મોદી
ભાજપના રાષ્ટ્રીય નેતા ગોપીનાથ મુંડેની હાજરીમાં યોજાયેલી જાહેરસભમાં મોદીએ ફરીવાર સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે 'મેડમ સોનિયાબહેન રાજકોટ આવ્યા હતા, વોટ માંગવા આવ્યા હતા. મીડિયામાં ત્રણ દિવસથી છપાય છે કે મેડમ આવ્યા અને મોદીનું નામ પણ ના લીધું. મારે મીડિયાને કહેવું છે તેમણે મોદીને ભલે યાદ ના કર્યાં પણ મોંધવારી જેવી સમસ્યા અંગે સોનિયા મેડમ મૌન રહ્યા એક પણ શબ્દ બોલ્યા ન હતા.'
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બાળકોને તેમના ગામમાં કે નજીકમાં શિક્ષણ મળી રહે તે માટે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે નવી કોલેજો શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જોવા મળેલો ઝડપી વિકાસ અને પ્રગતિ રાજકીય સ્થિરતાને આભારી છે.'
તેમણે આવનારા સમયમાં સારો વિકાસ સાધી શકાય તે માટે ફરી એકવાર જનતા તેમને સાથ આપે અને ગાંધીનગરમાં બેસાડે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.