વિપક્ષ નેતાની પસંદગી મામલે હવે કોંગ્રેસમાં ઘમસાણ
કોણ બનશે વિપક્ષના નેતા? આ મામલે કોંગ્રેસમાં કકળાટ આ અંગે વધુ જાણો અહીં...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક વિગ્ર વ્યાપ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ પરષોત્તમ સોલંકીએ ખાતાની ફાળવણી બાબતે નારાજગી વ્યક્ત કરી છે અને તેમને સમજાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં વિપક્ષના નેતાના નામે પ્રશ્નાર્થ મુકાયો છે. વિપક્ષના નેતા તરીકે શરૂઆતથી જ પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યાં હતું, પરંતુ હવે આ અંગે કુંવરજીભાઇ બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી છે.
કુંવરજી બાવળિયાએ સિનિયોરિટીના આધારે વિપક્ષના નેતા બનાવનો દાવો રજૂ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે હાઇકમાન્ડનો નિર્ણય માન્ય રાખવામાં આવશે. સૌરાષ્ટ્રની 54 પૈકી 30 બેઠકો અપાવી છે, માટે સૌરાષ્ટ્ર હકદાર છે. હું ચારવાર ધારાસભ્ય અને એક ટર્મમાં સાંસદ રહી ચૂક્યો છું અને આથી સિનિયોરિટીમાં હું આગળ છું. કહેવાઇ રહ્યું છે કે, આ મામલે હાઇકમાન્ડ મનોમંથન કર્યા બાદ બુધવારે સાંજે કે ગુરૂવારે વિપક્ષના નેતા અંગે જાહેરાત કરશે અને આ અંગે ધારાસભ્યોનો મત પણ જાણવામાં આવશે. બુધવારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની મળી પ્રથમ બેઠક અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળી હતી.