દિવાળી દરમિયાન અકસ્માતમાં મોટો વધારો, 108 ને 5,389 ઇમરજન્સી કોલ્સ મળ્યા
દિવાળીએ એક તરફ સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ ફટાકડા અને બેદરકારીને કારણે અનેક ગંભીર ઘટનાઓ પણ બની છે. આ વર્ષે દિવાળીની રાત્રે ઇમરજન્સી સેવાઓ પર અસામાન્ય વધારો જોવા મળ્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન 108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીની રાત્રિ દરમિયાન કુલ 5,389 ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ આંકડો 565 જેટલો વધારે હતો.

ફટાકડા ફોડતી વખતે થયેલી બેદરકારીને કારણે દાઝી જવાના કુલ 56 બનાવો સમગ્ર ગુજરાતમાં નોંધાયા હતા. આ બનાવોમાં સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં જોવા મળી, જ્યાં એકલા અમદાવાદમાં જ દાઝી જવાના 17 કેસ નોંધાયા હતા.
ઇમરજન્સી સેવાઓ માટે સૌથી મોટી ચિંતાનો વિષય રોડ અકસ્માતો રહ્યા હતા. સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 529 રોડ અકસ્માતના કોલ્સ હોય છે તે સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો અને દિવાળીની રાત્રે કુલ 916 રોડ અકસ્માતના કોલ નોંધાયા.
ફટાકડાના ધુમાડાને કારણે હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો થયો છે. જેના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ સંબંધી કટોકટીના કુલ 380 કોલ્સ ઇમરજન્સી સેવાઓને મળ્યા.
એકલા અમદાવાદ શહેરમાં જ સાંજે 5 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80 જેટલા બનાવો નોંધાયા હતા. આમાં 38 કોલ કચરામાં આગ લાગવાના હતા, જ્યારે 22 ગંભીર કોલ મકાનોમાં આગ લાગવાના હતા.
અમદાવાદ ફાયર બ્રિગેડે એક ગંભીર ઘટનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પીરાણા-પીપળજ રોડ પર આવેલી મહાલક્ષ્મી ટેક્સટાઇલ ફેક્ટરીમાં લાગેલી આગમાં એક વ્યક્તિ અંદર ફસાયેલો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ દીવાલમાં બાકોરું પાડીને ફસાયેલા વ્યક્તિને બેભાન હાલતમાં સફળતાપૂર્વક બચાવી લીધો હતો.












Click it and Unblock the Notifications
