વરસાદને લઈને તંત્ર રાહત-બચાવ કામગીરી માટે ખડેપગે, મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ કામગીરી
રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને લઈને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત 3-4 દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, આકચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 4 ઇંચથી વધુ, જ્યારે 3 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8 જિલ્લાના 1079 લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે.
રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે તેને પણ ઝડપભેર મરામત કરી ફરી શરૂ કરવા તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે.
ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોના 17,242 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા ત્વરાએ 17,149 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે બાકીના 93 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, તેમ વધુમાં જણાવાયું છે.












Click it and Unblock the Notifications
