નીતિન પટેલ નારાજ થતા, CM રૂપાણી ફોન પર વ્યસ્ત થઇ ગયા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપી શકે છે રાજીનામું. તો બીજી તરફ સીએમ વિજય રૂપાણી ફ્લાવર શોના ઉદ્ધાટન વખતે આ જ કારણે વ્યસ્ત જોવા મળ્યા. વધુ જાણો અહીં
ચૂંટણી પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગૃહ અને નાણાં ખાતું ના આપી તેમનું કદ વેતરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જ કારણે નીતિન પટેલ નારાજ છે પર રાજીનામું આપવા ત્રણ દિવસનું હાઇ કમાન્ડને અલ્ટીમેટમ આપ્યું છે તેવી ચર્ચાઓએ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જો કે આ મામલે નીતિન પટેલ કે સીએમ વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનું ટાળ્યું છે. અને આ જ કારણે આ ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે. જો કે કેબિનેટ મંત્રીઓને ખાતા ફાળવણી પછી સંયુક્ત પ્રેસવાર્તામાં વિજય રૂપાણીએ નીતિનભાઇ નારાજ નથી અને આવી કોઇ વાતો અફવા છે તેમ જણાવ્યું હતું. પણ હાલની પરિસ્થિતિ કંઇ બીજી જ વાત રજૂ કરી રહી છે.
ત્યારે બીજી તરફ શનિવારે ફ્લાવર શોનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવા આવેલા વિજય રૂપાણી ફ્લાવર શો ઉદ્ધાટનમાં ઓછા અને ફોન પર વધુ વ્યસ્ત દેખાયા હતા. વળી પત્રકારો દ્વારા નીતિન પટેલની નારાજગી અંગે પૂછવા મામલે પણ તેમને જવાબ આપવાનો ટાળ્યો હતો. અને ફ્લાવર શો અંગે વાત કરવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નાણાં ખાતાનો કાર્યભાર આજે સૌરભ પટેલે અધિકૃત રીતે અપનાવ્યો હતો. વધુમાં તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ હાઇકમાન્ડ દ્રારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને સમજાવવા માટે શાંતિદૂત કે ઉત્તર ગુજરાતના નેતાઓનું મંડળ પણ મોકલવામાં આવી શકે છે. ત્યારે આ કારણે ગુજરાત રાજકારણમાં હાલ અંજપા ભરી સ્થિતિ છે.