ચૂંટણીપંચ મત નહીં આપવાનો નિર્ણય લેનારની અલગ નોંધ લેશે
ચૂંટણીના નિયમ અનુસાર કોઇપણ મતદાર મતદાન મથકમાં પોતાના મતદાર તરીકેના ક્રમાંકને અધિકૃત રજિસ્ટરમાં ફોર્મ 17-એ અનુસાર નોંધાવે અને ત્યાં નિયમ 491ના પેટા નિયમ 1 અંતર્ગત જરૂરી હસ્તાક્ષર કે અંગૂઠાનું નિશાન કરે તો પ્રિસાઇડિંગ ઓફિસરે ફોર્મ 17 એ પ્રમાણેના અધિકૃત રજિસ્ટરમાં જે તે મતદારની એન્ટ્રી સામે મત નહીં આપવાનો નિર્ણય (deside not to vote) એવી નોંધ કરવાની રહેશે. આવી નોંધ સામે જે તે મતદારના હસ્તાક્ષર કે અંગૂઠાનું નિશાન લેવાનું રહેશે.
આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભારતીય ચૂંટણીપંચના આદેશ અનુસાર હેન્ડબૂક ઓફ પ્રિસાઇડિંગ ઓફિસર (2009)ના પ્રકરણ-23ને ટાંકીને જણાવ્યું હતું કે આ સીચના ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને આપવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરને આ બાબતે વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. આ બાબતે સૌને માહિતગાર કરવા જરૂરી છે જેથી પોલિંગ બૂથ પર કોઇ અસમંજસ ન રહે.
પોલિંગ એજન્ટ માટે ફોટો ઓળખકાર્ડ ફરજિયાત
આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે મતદાનના દિવસે મતદાન મથક માટે નિમવામાં આવતા પોલિંગ એજન્ટ જે તે મતદાન મથકના હોવા જરૂરી છે. અથવા તો એ જ મતક્ષેત્રમાં નજીક આવતા મતદાન મથકનાં મતદાર હોવા જરૂરી છે. આ ઉપરાંત દરેક પોલિંગ એજન્ટ માટે ફોટો ઓળખકાર્ડ હોવું જરૂરી છે.