કારકિર્દીના પંથે 2023 ડિજિટલ વિશેષાંકનું ગાંધીનગર ખાતે વિમોચન, શિક્ષણ મંત્રીએ કહી આ વાત
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નવીન પહેલના ભાગરૂપે રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિ નિર્માણમાં સહાયક અને માર્ગદર્શક બને એવા ઉદ્દેશથી કારકિર્દીના પંથે-2023 ડિજિટલ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરના હસ્તે અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલપાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવેલા કારકિર્દીના પંથે-2023 ડિજિટલ વિશેષાંક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કારકિર્દીનું સાચું માર્ગદર્શન પૂરું પાડી જ્ઞાનમાં વૃદ્ધિ કરશે. જે કારકિર્દી અને વ્યવસાયનું માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો આધારસ્તંભ બનશે, તેમ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.

મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી કાળમાં ધોરણ -10 અને ધોરણ-12એ કારકિર્દીના મહત્વના વર્ષો છે, ત્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને સાચી દિશા અને બાળકના જીવનમાં પ્રગતિનો પાકો પંથ તૈયાર કરે છે.
કારકિર્દીના પંથે-2023 ડિજિટલ વિશેષાંક તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓને નિ:શુલ્ક પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને સફળ બનાવવા અને રાહ ચીંધવાનો એક નવતર પ્રયોગ નીવડશે.
આ પ્રસંગે સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશ મહેતા, અમદાવાદ શહેરના ડીઈઓ આર. એમ. ચૌધરી તેમજ સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
