હાઇકમાન્ડના નામે BJP કાર્યકર્તા પાસે પડાવ્યા 20 લાખ!
વિધાનસભાની ચૂંટણીને ગણતરીને દિવસો બાકી છે. ત્યારે વિવિધ પક્ષમાં ઉમેદવારોની પસંદગીને લઇને નાણાકીય વ્યવહાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. આ અંગે વધુ વાંચો અહીં.
વિધાનસભાની ચૂંટણીને ગણતરીને દિવસો બાકી છે. ત્યારે વિવિધ પક્ષમાં ઉમેદવારોની પસંદગીને લઇને નાણાકીય વ્યવહાર કરવામાં આવતા હોય છે. જેમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલી નિર્ભયનગર સોસાયટીમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તેમજ મુસ્લિમ આગેવાન ઉસ્માનભાઇ ઘાંચીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ખાડીયા-જમાલપુર વિધાનસભા બેઠક માટે તેમણે ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી અને આ માટેની તૈયારી છેલ્લાં બે મહિનાથી શરૂ પણ કરી દીધી હતી. આ દરમિયાન રાહુલ નામના વ્યકિતનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તમારૂ નામ ઉમેદવાર તરીકે ફાઇનલ કરી આપવામાં આવશે. આ માટે પહેલા રૂપિયા 20 લાખ આંગડીયા મારફતે મોકલી આપજો. તો હાઇકમાન્ડ જલ્દીથી નક્કી કરી શકશે.

આથી 20 દિવસ પહેલા ઉસ્માનભાઇએ રૂપિયા 20 લાખ આંગડીયા દ્વારા મોકલી આપ્યા હતા. જ્યારે ખાડીયા-જમાલપુર બેઠક માટે ભુષણ ભટ્ટના નામની જાહેરાત થતા ઉસ્માનભાઇને આંચકો લાગ્યો હતો. આ બાબતે રાહુલને ફોન કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને રૂપિયા 20 લાખ પરત કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી આ અંગે શનિવારે મોડી સાંજે ઉસ્માનભાઇ ઘાંચીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આઇપીસીની કલમ 406 અને 420 હેઠળ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ એસ.જે.જાડેજાએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉસ્માનભાઇ ઘાંચીનું નામ ઉમેદવાર તરીકે મોખરે હતું, ત્યારે પોલીસ માની રહી છે કે કોઇએ આ તકનો લાભ લઇને આબાદ છેતરપીંડી કરી છે.












Click it and Unblock the Notifications
