અમદાવાદ-ગાંધીનગર જતા આવતા કર્મચારીઓને 70 એસટી બસ સેવાઓનો લાભ મળશે
અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મચારીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી ૭૦ એસટી બસની સુવિધા મળતી થશે.
એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસટી બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓની ઉપસ્થિતિમાં કર્યું.
આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક ૮ હજારથી વધુ બસોના કાફલા સાથે ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા ૨૫ લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે.
રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે.
૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના બજેટ પ્રાવધાન અન્વયે સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ ૨,૮૧૨ નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવનારા છે.
આ નવા વાહનો પૈકી ૨૬ કરોડના ખર્ચે ૭૦ બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યુ.
એસટી નિગમે છેલ્લા ૧૪ મહિનામાં ૧૫૨૦ નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસટી નિગમે હાથ ધર્યું છે.












Click it and Unblock the Notifications
