એન્જિનિયરીંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે આજે ગુજકેટની પરીક્ષા, ચુસ્ત પોલિસ બંદોબસ્ત, ગરમીના લીધે ખાસ વ્યવસ્થા
આજે 18 એપ્રિલ, 2022ના રોજ ધોરણ 12 સાયન્સ પછીના એન્જિયરિંગ અને ફાર્મસીના કોર્સમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા લેવાશે.
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં આજે 18 એપ્રિલ, 2022ના રોજ ધોરણ 12 સાયન્સ પછીના એન્જિયરિંગ અને ફાર્મસીના કોર્સમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા લેવાશે. આ વર્ષે રાજ્યભરમાંથી લગભગ 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે વધતી ગરમીના કારણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી 5461 બ્લૉકમાં યોજાનાર પરીક્ષામાં 107694 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 46 શાળાઓમાં 476 બ્લૉકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કુલ 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં 4983 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા ગુજરાતમાં વિવિધ ડિપ્લોમાં, ડિગ્રી, એન્જિનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. રાજ્યના વિવિધ શહેરોમાં બનાવેલા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. ગ્રુપ એ અને બીના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં લેવાશે.
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. સીસીટીવી દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવશે. પરીક્ષા સ્થળની આજુબાજુ 144ની કલમનો અમલ તેમજ ઝેરોક્ષની દુકાનો ખોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વિદ્યોર્થીઓને પરીક્ષા ખંડમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરીક્ષા સ્થળો પર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજકેટની પરીક્ષામાં વધતી જતી ગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર ગરમીના કારણે લીંબુ પાણી, ગ્લુકોઝની ખાસ વ્યવસ્થા કરવા શાળાઓને તાકીદ કરવામાં આવી છે. વળી, વિદ્યાર્તીઓ કેન્દ્ર પર પહોંચે ત્યારે તરત જ તેમને પ્રવેશ આપવા માટે સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
