MSME ઉદ્યોગકારો માટે મહત્વનો નિર્ણય, ઝડપથી મળશે રાજ્યના અન્ય વિભાગોની મંજૂરી
ફેસિલિટેશન ડેસ્ટ શરૂ થયા બાદ MSME ઉદ્યોગકારોએ મંજૂરીઓ લેવા માટે વિવિધ વિભાગોમાં ભાગંભાગ નહીં કરવી પડે
MSME ઉદ્યોગકારોને રજિસ્ટ્રેશનમાં સરળતા રહે અને તમામ વિભાગોની મંજૂરી આસાનીથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં વિવિધ વિભાગોમાં ઉદ્યોગસાહસિકોએ ભાગંભાગ કરવી પડતી હતી પરંતુ સરકારના આ નિર્ણય પછી હવે ઉદ્યોગસાહસિકો માટે પોતાનો બિઝનેસ સ્થાપવો એકદમ સરળ થઈ જશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે,ગુજરાત એમ.એસ.એમ.ઇ. ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લીસમેન્ટ એન્ડ ઓપરેશન્સ એકટ-૨૦૧૯ની સ્કીમ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. પ્રોજેકટસને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ મેળવી લેવાનો સમય મળતો હોય છે.
આ પ્રોજેકટ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તથા રાજય સરકારના અન્ય વિભાગોની મંજુરીઓ ઝડપથી મળી રહે તે હેતુથી કમિશનર-એમ.એસ.એમ.ઇ. કચેરી ખાતે તેમજ ઝોનલ કચેરીઓ ખાતે 'ફેસિલિટેશન ડેસ્ક' દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો મેળવી સત્વરે મંજૂરી મળી રહે તે માટે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.
ઋષિકેશભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના (MBKEY) મારફતે રાજ્યના ૫૦,૦૦૦ યુવાનોને આગામી ત્રણ વર્ષમાં ન્યુ એજ સ્કીમ એટલે કે, ભવિષ્યમાં નવી ટેકનોલોજીના જે કૌશલ્યની જરૂરિયાત ઊભી થવાની છે, તેને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન તાલીમ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેઇન ટેકનોલોજી જેવા કૌશલ્યોમાં સુસજ્જિત કરવા માટે આઈ.ટી.આઈ., કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી તેમજ ખાનગી તાલીમ સંસ્થાઓના સહયોગથી આવી રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવશે.