બનાસકાંઠાના થરાદમાં નર્મદા કમાન્ડ એરિયા વધારવાની માંગ સાથે યોજાઇ બાઇક રેલી
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પાણીની વિકટ સમસ્યાને લઇને ખેડૂતોએ રેલી યોજી આંદોલન પર ઉતર્યા છે. નર્મદા નદીના પિયતના પાણી માટે કમાન્ડ એરિયા વધારવાની માંગ સાથે સ્થાનિક યુવાનો અને ખેડૂતો દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પાણીની વિકટ સમસ્યાને લઇને ખેડૂતોએ રેલી યોજી આંદોલન પર ઉતર્યા છે. નર્મદા નદીના પિયતના પાણી માટે કમાન્ડ એરિયા વધારવાની માંગ સાથે સ્થાનિક યુવાનો અને ખેડૂતો દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો બાઇક રેલી યોજીને થરાદ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પહોચ્યા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

થરાદ પ્રાંત કલેક્ટરને મળીને ખેડૂતોએ માંગણી કરી હતી કે, બાકી રહેતાં 97 ગામનો સમાવેશ નર્મદા કમાન્ડ એરિયામાં કરવામાં આવે અને ત્યાં નહેર મારફતે પાણી પુરુ પાડવામાં આવે. આ ઉપરાંત સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવાની માંગણી કરી હતી. ખેડૂતોએ જો માંગણી નહી સંતોષાય તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી.
ખેડૂતો પાણીની માંગણી સાથે ભવ્ય રેલી કરી થરાદ પહોચ્યા હતા. રેલીમાં રાહ, મોરથલ, સહિતના નર્મદા પાણીથી વંચિત ગામોના સેંકડો લોકો જોડાયા હતા. કોંગ્રેસના યુવા નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલે આ રેલીને સંબોધિ હતી. તેમણે જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે બનાસકાંઠામાં પીવાના અને સિંચાઇના પાણીની મુશ્કેલી છે. પરંતું, બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણી સહિતના તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કમાન્ડ એરિયામાં કરવામાં આવ્યો નથી. આ ગામો સિંચાઇના પાણીથી વંચિત રહે છે. તો આ 97 જેટલા ગામોમાં સિંચાઇના પાણીની સગવડ ઉપલબ્ધ થાય તે માટે તે ગામોનો કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવે અને આ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ સુજલામ સુફલામ કેનાલ સુકીભઠ્ઠ છે જેમાં પાણી નાખવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામો કાયમી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નર્મદાની મુખ્ય કેનાલ બનાસકાંઠામાંથી પસાર થતી હોવા છતાં સિંચાઇના પાણીનું કાયમી નિવારણ થયું નથી. આ સુકીભઠ્ઠ જમીનને હરિયાળી બનાવવા સરકારે યોગ્ય કદમ ઉઠાવવા હિતાવહ છે.












Click it and Unblock the Notifications
