રાજ્યમાં વરસાદ ખેંચાતા જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે!
રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તે માટે રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય સરકારે કર્યો છે.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે ખેડુતો ચિંતામાં મુકાયા છે. ખેડુતોની ચિંતાને જોતા હવે સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા સરકારે રાજ્યના જળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તે માટે રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્યના જળાશયોમાં આગામી ૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવશે.
૩૦ સપ્ટેમ્બર સુધીનો રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે તેનાથી સમગ્ર રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીનને પાણી મળશે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૪૧ ડેમ પૈકી ૮૮ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની ૬૦ હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી ૧પ હજાર હેકટરને સિંચાઇ માટે મળશે.
મધ્ય ગુજરાતના કડાણા ડેમમાથી મહિ કમાન્ડને ૬ હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના ૧૧ જળાશયોમાંથી ર લાખ ૧૦ હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના ૬ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની ૧ લાખ ૯૦ હજાર હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા રાજ્ય સરકારે ખેડુતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કરેલો છે. હવે, વરસાદ ખેંચાવાની સ્થિતીમાં રાજ્યના જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવશે.