શિક્ષણના ધાંધિયા અને ફી વધારાની સમસ્યા વચ્ચે પ્રવેશોત્સવના તાયફા
રાજ્યમાં એક તરફ રાજ્ય સરકાર પ્રવેશોત્વ મનાવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ખાનગી શાળાઓમાં ફી વધારાના મુદ્દે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં એક તરફ રાજ્ય સરકાર પ્રવેશોત્વ મનાવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ખાનગી શાળાઓમાં ફી વધારાના મુદ્દે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાની જો વાત કરીએ તો, સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે ત્યારે, બીજી તરફ ખાનગી શાળાઓ ફી વસુલવામાં કમરતોડ વધારો ઝીંકી રહી છે.
સંચાલકોની મનમાની બહાર આવી
ત્યારે બીજી તરફ ખાનગી શિક્ષણ સંચાલકોની મનમાની પણ બહાર આવી રહી છે. નવા શૈક્ષણિક સત્રના પહેલાં જ દિવસે સુરત શહેરની એક સ્કૂલે ચાર વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી પાણીચૂ પકડાવી દીધું છે. વિદ્યાર્થીઓ યુનિફોર્મ સાથે ક્લાસમાં પહોંચ્યા તે પહેલાં સ્કૂલે વિદ્યાર્થીઓને LC પકડાવી દીધા હતા. પરિણામે, વિદ્યાર્થીઓને કલેકટર સમક્ષ ફરિયાદ કરવાની નોબત આવી હતી.
ફી નિયમન કાયદાના અમલમાં તંત્ર નિષ્ફળ
રાજ્યમાં ફી નિયમન અધિનિયમ કાયદો હોવા છતાં તેનું પાલન કરવામાં તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. બે સત્રથી શિક્ષણ ફીનો વિવાદ ચાલી રહ્યો છે. આ ફી વિવાદનો હજુ નિકાલ આવ્યો નથી ત્યાં નવો મુદ્દો આવ્યો છે. ફીને નિયંત્રિત કરવા માટે FRCની સ્થાપના કરવામાં આવી છે પરંતુ કેટલીક સ્કૂલ અદાલતમાં કેસ લડી રહી હોવાથી મનમરજી મુજબની ફી વસુલે છે. જે લોકોએ ફી નથી ભરી તે વિદ્યાર્થીઓને સ્કૂલોએ પ્રવેશ આપવાની ના પાડી છે. વિદ્યાર્થીઓ પાસે નવા સત્રની સાથે જૂના સત્રની ફી પણ માગવામાં આવે છે. ફી નહિ ભરવા પર LC આપવા લાગ્યા છે અને LC પર ફી નહિ ભરવાનું કારણ લખવામાં આવ્યું છે, જેને કારણે બાળકોને બીજી સ્કૂલોમાં પણ પ્રવેશ લેવામાં તકલીફ પડે છે. આ મામલામાં DEO કચેરી દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
વાલીઓની આશા ઠગારી નિવડી
ખાનગી સ્કુલ હવે પોતાની મનમાની નહીં ચલાવી શકે, અને વધુ પડતી ફી વધારામાં બ્રેક લાગશે તેવી વાલીઓની આશા નઠારી નિવડી છે. નિયમ કરતાં વધુ વસુલ કરવામાં આવેલી ફીની રકમ પરત થાય તેવી આશા વાલીઓને છે, પણ આમાં સરકારની ધીમી કાર્યવાહી સામે વાલીઓમાં દુખ અને રોષ છે. ફી મામલે 70 સ્કુલ્સ કોર્ટમાં ગઈ છે. ફી નિયમનનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે. ત્યારે, સરકાર પણ અદાલતના બહાને કાયદાની છટકબારી કરી રહી છે.
ફી નિયમન કમિટીમાં વાલીઓની અવગણના
સરકારે ચાર ઝોનમાં બનાવેલી કમિટીમાં વાલીઓને સ્થાન આપ્યું નથી અને હવે વાલીઓ જાતે પોતાની લડાઈ લડી રહ્યા છે. એકલા અમદાવાદ શાળાની જો વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં પ્રાથમિક વિભાગની 900 જેટલી ખાનગી શાળાઓ અને માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિકની 187થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. જ્યારે, 372 ગ્રાન્ટેબલ સ્કુલો છે.
સરકારના પ્રવેશોત્સવના નામે તાયફા
રાજ્ય સરકાર ફી વધારાના કાયદાનો અમલ કરાવવામાં કાચી પડી રહી છે. શાળા સંચાલકો સામે લાલ આંખ કરવાના બદલે સરકાર આંખ મિચામણાં કરી રહી છે ત્યારે, બીજી તરફ શાળા પ્રવેશોત્સવના નામે સરકાર સરકારી ઉત્સવ કરી રહી છે.