શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024નો પ્રારંભ
Shri 51 Shaktipeeth Parikrama Mohotsav-2024: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું છે.
આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી - પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. જે બાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તથા ધારાસભ્યોએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.
આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં 21 જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીઓ સર્વ ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, ડૉ. કુબેરભાઈ ડિંડોર, ભાનુબહેન બાબરીયા, હર્ષ સંઘવી, સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
