કડાણા -ધરોઈ ડેમે, અમદાવાદ અને વડોદરાની ચિંતા વધારી
મધ્યપ્રદેશમાં છવાયેલા હવાના ભારે દબાણના કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન ખાતાની આ આગાહી સાથે ગુજરાતમાં હાલ જે રીતે રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેનાથી કડાણા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. જેના લીધે સાબરમતી નદી સપાટી વધતા સાવચેતીના પગલા રૂપે રિવરફ્રન્ટ પર એન્ટ્રી બંધ કરવામાં આવી છે.
ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
તો બીજી તરફ ધરોઈ ડેમમાં 1 લાખ 85 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે એક તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કડાણા ડેમના વડોદરા પાસે આવેલા સિંગરોટ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ત્યારે એક પછી એક ઓવરફ્લો થઇ રહેલા ડેમ અને સાબરમતી જેવી મહત્વની નદીઓની જળસપાટી વધતા ક્યાં એલર્ટ કરવામાં આવ્યું છે અને હાલ શું સ્થિતિ છે તે વિષે વિસ્તૃત અહેવાલ જાણો અહીં...
કડાણા ડેમના 16 દરવાજા ખોલાયા
કડાણા ડેમની આવક 2.88 લાખ ક્યૂસેક થતા કડાણા ડેમના 16 દરવાજાને 10 ફૂડ ખોલવામાં આવ્યા છે. જ્યારે બજાજસાગર ડેમના 16 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
સિંગરોટ ગામ થયું પાણીમાં ગરકાવ
કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા પાસે આવેલ સિંગરોટ ગામ પાણીમાં ગરકાવ થયું છે. તો બીજી તરફ બામણગામ, શેરખી, ચમારા જેવા ગામોની પણ ચિંતા વધી છે.
ધરોઇ ડેમ ભયજનક સપાટીએ
નોંધનીય છે કે ધરોઇ ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. તેમાંથી 54,201 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં એલર્ટ
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે. વળી અહીં પોલિસ અને ફાયર બ્રિગ્રેડનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અમદાવાદના નીચાણવાળા વિસ્તારોને પણ સાયરન દ્વારા સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. અને નીચાણ વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. વાસણા બેરેજના 18 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
ક્યાં ક્યાં છે જાહેર કરાયું એલર્ટ?
મહીસાગર જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોની સાથે સાથે પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવા માં આવ્યા છે. અમદાવાદના વાસણા બેરેજમાં દરવાજા ખોલાતા તંત્ર દ્વારા સવારથી સાઇરન વગાડવામાં આવી રહી છે જેથી કોઈ નદીના પટમાં કે નહેર પાસે ન જાય.
નીચાણવાળા ગામોને ઉજાગરો
ગત રોજ કડાણા ડેમમાંથી 5.25 લાખ ક્યુસેક પાણી છોડાતા સાવલી-ડેસર તાલુકામાંથી પસાર થતી મહી નદીના કાઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતા. તેમજ પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોના ગામોના લોકોને ઉજાગરો થયો હતો આથી. સરપંચોને અને તલાટીઓને ગામે રહેવા સૂચના બહાર પાડવામાં આવી છે. તંત્ર તરફથી તરવૈયાઓની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
ગલતેશ્વરનો પુલ ડૂબ્યો
મહી નદી બે કાંઠે વહેતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં છે. તેમજ ડેસર-ડાકોર વચ્ચે ગળતેશ્વર પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ડેસર તાલુકાના 8 અને સાવલી તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયાં છે.