વિકાસની ગંગાનો મહાકુંભ ગુજરાતને આંગણે શરૂ થયો છે: આનંદીબેન પટેલ
ગાંધીનગર, 8 જાન્યુઆરી: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કેન્દ્રિય વિદેશમંત્રી સુષમા સ્વરાજની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શો ર૦૧પના ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતાં આવાં ટ્રેડ-શો વિશ્વભરની ટેકનોલોજી-ઇનોવેશન અને માનવ સંશાધન સંપદા સાથે નવિનત્તમ પહેલના દીર્ઘકાલીન આદાન-પ્રદાનના માધ્યમ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧પના ભાગ સ્વરૂપે આજથી ગાંધીનગરમાં સવા લાખ ચોરસ મીટરના પરિસરમાં આ ભવ્ય વ્યાપાર-ઊદ્યોગ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ૧૩૦૦ સ્ટોલ્સ અને ૧૭ ડોમ્સ ધરાવતા આ પ્રદર્શનમાં પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત પેવેલિયન પણ સમાવિષ્ટ છે. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શો ર૦૧પ ડિરેકટરીનું વિમોચન કર્યું હતું. સુષમા સ્વરાજે પ્રવાસી ભારતીય દિવસની ડિરેકટરીનું વિમોચન કર્યું હતું
મુખ્યમંત્રીએ કેન્દ્રિય વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ગણમાન્ય અગ્રણીઓ સાથે આ વિશ્વવ્યાપાર પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વભરમાં વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરી છે અને તેથી હવે ટ્રેડ-ફેરમાં ઉત્તરોત્તર ભાગીદારી વધતી રહી છે. ગુજરાતે કરેલી આ પહેલ હવે ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ અનેક રાજ્યો પણ પોતાની ક્ષમતા અનુસાર આ જ રસ્તે આગળ વધ્યા છે.
આમ, ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ હવે ટ્રેન્ડ સેટર બની ગઇ છે. વિશ્વભરમાં સૌને ભરોસો બેસી ગયો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સુશાસનમાં કંડારેલા વિકાસ નકશા પર હવે સમગ્ર દેશ આગળ વધશે અને જગતગુરૂ બનશે. આનંદીબહેને કહ્યું કે આ ગ્લોબલ ટ્રેડ-શો માં મહિલા ઉઘોગ સાહસિકોને અને યુવા ઉઘોગ સાહસિકોને માટે વિશેષ પ્રોત્સાહનો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે કારણ વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મહિલાશકિત અને યુવાશકિતને મહત્તમ ભાગીદાર બનાવવાની નેમ છે.
આ પ્રદર્શનમાં ડીફેન્સ ઇકવીપમેન્ટ પ્રોડકશન, હેલ્થ, એજ્યુકેશન, આર્યુવેદ અને પર્યાવરણીય સુરક્ષાના બહુવિધ આયામો સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી મેઇક ઇન ઇન્ડીયાનો સંકલ્પ પાર પાડવાનો પણ ધ્યેય રાખ્યો છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગંગા કિનારે આધ્યાત્મિક કુંભમેલા જેમ સાબરમતી તટ પર ગાંધીનગરમાં વિકાસનો કુંભમેળો વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીથી શરૂ થઇ રહયો છે. વિકાસની ગંગા ઘરઆંગણે આવી છે એનું પ્રગતિમાન કરીએ એવું ભાવવાહક નિમંત્રણ તેમણે વિશ્વભરના વેપાર-ઊદ્યોગ જગતને આપ્યું હતું.
આ ગ્લોબલ ટ્રેડ શો થી વિશ્વભરની ઇનોવેશન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, હયુમન રિસોર્સ-સહિત અનેક નવતર પહેલ અને પહેલની ગતિ જોવા મળશે. ભારતના વિકાસ માટે ગુજરાત પ્રતિબધ્ધ છે. દેશના તમામ રાજ્યોની ભાગીદારી, ભારત સરકારની ઉપસ્થિતિ, વિદેશી સરકારો અને વિશ્વની આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ગ્લોબલ ટ્રેડ શો માં ભાગીદાર બની તે માટે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સુષમા સ્વરાજે શું કહ્યું વાંચો તસવીરો સાથે...
કેન્દ્રિય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મોદીને યાદ કર્યા
કેન્દ્રિય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વર્ષ ર૦૦૩માં પ્રવાસી ભારતીય દિવસની તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેઇજીના શાસનમાં શરૂઆત થઇ અને ગુજરાતમાં તે જ વર્ષથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પણ શરૂઆત કરાવી તેને એક સુભગ સુયોગ ગણાવ્યો હતો.
સ્વરાજે ગાંધીજીને યાદ કર્યા
પ્રવાસી ભારતીય દિવસ તા. ૯ મી જાન્યુઆરી -૧૯૧પના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા અને આઝાદીની ચીનગારી જલાવી દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મૂકત કરનારા મહાત્મા મળ્યા તેની સ્મૃતિરૂપે પ્રતિવર્ષ ર૦૦૩ થી આ દિવસ ઉજવાય છે તેની યાદ આપતા સ્વરાજે કહ્યું કે ગાંધીજીના સ્વદેશ આગમનના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા અવસરે તેમની જન્મભૂમિ ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસ ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે તેમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ સાતમી કડી નવી આભા ઉમેરે છે.
આ મહાપ્રદર્શન ભારતના સામર્થ્યને ઉજાગર કરે છે
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસનું આ મહાપ્રદર્શન ભારતના સામર્થ્યને ઉજાગર કરે છે. જેઓ ભારતને ગરીબ અને અનપઢ દેશ માને છે તેમના માટે આ મહાપ્રદર્શન આંખ ઉઘાડનારૂં શકિત સામર્થ્ય દર્શન છે.
ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા
મહાત્મા ગાંધીજીના જીવન કવનને સાક્ષાત કરતું પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગતનું પેવેલિયન અને સમગ્ર પ્રદર્શની બિનનિવાસી ભારતીયો અચૂક નિહાળે તેવી અપિલ પણ તેમણે કરી હતી. કેન્દ્રિય મંત્રીએ આ પ્રદર્શનમાં વિકાસનું વિઝન અને ગતિશીલતાનું મિશન બેયનો સમન્વય થયો છે તે માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી
પ્રારંભમાં મુખ્ય સચિવ ડી. જે. પાંડિયનને સૌને આવકારતાં ગુજરાતના વિકાસમાં નવી ઊર્જાનો સંચાર મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વમાં આ ટ્રેડ-શો કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ અને પદાધિકારીઓ તથા દેશ-વિદેશના ઉદ્યોગકારો-પ્રતિનિધિઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.