ગાંધીનગર મનપાની ચૂંટણીનુ આજે પરિણામ થશે જાહેર
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે (5 ઓક્ટોબર) યોજાશે. પાંચ કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરઃ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે (5 ઓક્ટોબર) યોજાશે. પાંચ કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે, 11 વૉર્ડની 44 બેઠકોનુ પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. 5 EVMના સ્ટ્રોંગ રૂમમાંથી વીડિયોગ્રાફી દ્વારા ઈવીએમ બહાર લાવવામાં આવશે. ગણતરી કેન્દ્રો પર સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે. મત ગણતરી સ્થળોએ કુલ 53 ટેબલ હશે. મત ગણતરી માટે 5 અલગ અલગ સ્થળો નિશ્ચિત કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મનપાની સાથે અમદાવાદ અને જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 56.24 ટકા મતદાન થયુ હતુ. કોર્પોરેશન વિસ્તારના 11 વૉર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથ પર 86,024 પુરુષ અને 77,508 મહિલા મળીને કુલ 1,58,532 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય અપક્ષો મળીને કુલ 162 ઉમેદવારો મેદાનમાં છે.
આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 550થી વધુ પોલિસ જવાનો અને અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 6 ડીવાયએસપી, 10 પીએઆઈ, 31, પીએસઆઈ થતા 250 પોલિસ કૉન્સ્ટેબલ, 120 મહિલા પોલિસ, 50 ટ્રાફિક પોલિસ, 500 પોલિસ જવાનોને સવારથી તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વર્ષ 2016ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 16-16 બેઠકો મળી હતી. જો કે કોંગ્રેસમાં પક્ષ પલટો થયો હતો અને ભાજપ પાસે ફરીથી સત્તા જતી રહી હતી.
નોંધનીય છે કે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુ મતદાન થયુ હતુ. ગાંધીનગરના કુલ 11 વૉર્ડમાંથી વોર્ડ 1માં 65 ટકા મતદાન, વૉર્ડ 2 પેથાપુરમાં 64 ટકા, વૉર્ડ 3માં 53.66 ટકા, વૉર્ડ 4માં 61.16 ટકા, વૉર્ડ 5માં 41.73 ટકા, વૉર્ડ 6માં 48.69 ટકા, વૉર્ડ 7માં 66.94 ટકા, વૉર્ડ 8માં 55.05 ટકા, વૉર્ડ 9માં 52.11 ટકા, વૉર્ડ 10માં 52.67 ટકા, વૉર્ડ 11માં 60.60 ટકા મતદાન થયુ હતુ. સૌથી વધુ કોલવાડ-વાલોલ વૉર્ડ નંબર 7માં મતદાન થયુ હતુ જ્યારે સૌથી ઓછી મતદાન પંચદેવ વૉર્ડ નંબર 5માં થયુ હતુ. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી ભાજપ માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે.