ગૌહત્યા મુદ્દે ગળગળા થઇ ગયા ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાથી નોંધાવી ઉમેદવારી
Lok Sabha Election 2024: બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે ટ્રેક્ટરમાં બેસીને રેલી યોજી હતી, અને આ સાથે તેઓએ એક જાહેર સભામાં સંબોધન પણ કર્યું હતું.
આ જાહેર સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગેનીબેન ભાવુક બની ગયા હતા. જ્યારે દરેક ગામડાના લોકો મને ફૂલોના હાર પહેરાવતા, આ કહેતાં તેઓ રડવા લાગ્યા હતા.
ગેનીબેન ઠાકોર ભાવુક બની ગયા હતા અને જણાવ્યું હતું કે, હું જ્યારે ગામડે ગામડે જાઉં છું, ત્યારે લોકો મને ફૂલોના હાર પહેરાવે છે, તેથી તેઓનું મારું ઋણ છે અને લોકસભા નાની વાત નથી.
પેઢી દર પેઢી આગળ વધ્યા પછી પણ મને ટિકિટ મળતી નથી, પરંતુ જ્યારે આ બનાસકાંઠાની જનતાની શ્રદ્ધાએ મને ટિકિટ આપી છે, ત્યારે હે ભગવાન કૃષ્ણ કન્હૈયા, મારી નાવ બચાવો અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજો.

ગેની બેને વધુમાં જણાવ્યું હતું કે, મેં છેલ્લા દોઢ માસથી સમગ્ર જિલ્લાના દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે. આમ તો મને પોતે ચૂંટણી લડવાનો બહુ વિચાર ન હતો, પણ જ્યારે આખો જિલ્લો, આપણું કોંગ્રેસ મોવડી મંડળ અને આપણા જિલ્લાના આગેવાનો જેઓ ટિકિટ માંગી રહ્યા હતા, ત્યારે બધાએ ભેગા મળીને એક નામ જણાવ્યુ અને કહ્યું કે, અમે પોતે ટિકિટ માટે ચૂંટણી લડવાના નથી, પરંતુ સમય અને સંજોગોને કારણે તમારે ચૂંટણી લડવી પડશે.
જાહેર સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આજે સમગ્ર જિલ્લામાં વિવિધ મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છીએ, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે, ત્યારે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકો રાજકારણમાં એક તરફ સત્તા અને બીજી બાજુ પૈસા જુએ છે. ત્યારે હું મારી આ જીતને મારી નહીં, પણ મારા અઢાર સાથીઓની હશે. હું બનાસકાંઠાની આઝાદી માટે આ ચૂંટણી લડવા માંગુ છું.












Click it and Unblock the Notifications
