હિંમતનગર HUDA મુદ્દે લોકોની જીત, સરકાર નિર્ણય સ્થગિત કરવા મજબુર થઈ
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ના અમલીકરણના નિર્ણય સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હાલ પૂરતો HUDA નો નિર્ણય સ્થગિત કરી દીધો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે બેઠક યોજી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ગાંધીનગરમાં 11 ગામના આગેવાનો સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો, જેના માટે મુખ્યમંત્રીએ આગેવાનોની ચિંતાઓ સાંભળવા ખાસ સૂચના આપી હતી. આ મુદ્દે ચાર મંત્રીઓની કમિટીએ પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
HUDA ના વિરોધમાં 11 ગામના લોકો 108 દિવસથી લડત ચલાવી રહ્યા હતા અને હિંમતનગર સજ્જડ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનો મુખ્ય વાંધો ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જમીનની 40-50% કપાત, ખેતીની જમીનનું શહેરીકરણ અને વિકાસના નામે થતા અન્યાય સામે હતો.
ખેડૂતોનું કહેવું હતું કે તેમને વિકાસ જોઈએ પણ પોતાની જમીન અને આજીવિકા ગુમાવીને નહીં. HUDA સંકલન સમિતિએ આને ખેડૂતોની લડતની જીત ગણાવી છે. હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ભવ્ય આતશબાજી સાથે તેની ઉજવણી કરાઈ હતી.












Click it and Unblock the Notifications
