વિપક્ષના નેતાની વરણી ફરી ટળી : કાર્યકારી વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા
આ બેઠકમાં રાહુલ ગાંધીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેના પદ ગ્રહણને આવકારવામાં આવ્યું હતું. જ્યારે મોરવા હડફના ધારાસભ્ય સવિતાબેન ખાંટનું અવસાન થયું હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભા ભવન ખાતે મંગળવારે સવારે 10.30 કલાકે મળેલી આ બેઠકમાં વિપક્ષી નેતાની વરણી કરવામાં આવશે એમ માનવામાં આવતું હતું.
વિપક્ષી નેતાના પદ માટે હાલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાનું નામ મોખરાના સ્થાને આવે છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એવી અટકળો સેવાઇ રહી છે કે શંકરસિંહ વાઘેલા વિપક્ષી નેતાના પદ માટે રાજી નહીં થાય. જો તેઓ વિપક્ષી નેતા પદ નહીં સ્વીકારે તો તેમના બાદ મોહનસિંહ રાઠવા, રાઘવજી પટેલ તેમજ પુંજાભાઇ વંશના નામનો ઉલ્લેખ થઇ રહ્યો છે.
વિઠ્ઠલ રાદડિયા વિપક્ષી નેતા બનવા માટે અડિખમ
વિપક્ષી નેતાના પદ માટે કોંગી ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ પોતાના નામનો દાવો કર્યો છે. જોકે પક્ષ રાદડિયાને વિપક્ષી નેતા બનાવે તેવા મૂડમાં નથી. રાજકિય વિશ્લેષકો એવી આગાહી કરી રહ્યા છે કે જો રાદડિયાની વિપક્ષી નેતા તરીકે પસંદગી કરવામાં ના આવી તો પક્ષમાં ઉથલપાથલ થઇ શકે છે. આ પહેલા પણ વિઠ્ઠલ રાદડિયાએ પક્ષના હાઇકમાન્ડની ઉપરવટ જઇને સંસદમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે રાદડિયા ભાજપ તરફી હવામાં ઉડશે તેવી ચર્ચા પણ વહેતી થઇ છે. જોકે આવતીકાલે પક્ષની બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને તેના શું પરિણામ આવે છે એ તો સમય જ નક્કી કરશે.