ગુજરાતમાં 2002ના રમખાણોની તપાસ પેનલને 12 વર્ષમાં 22મો વધારો
અમદાવાદ, 30 જૂન : ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદના રમખાણોના કેસની તપાસ કરી રહેલી જસ્ટિસ નાણાવટી પંચને ગુજરાત સરકારે આજે ફરીથી તપાસ સમય મર્યાદામાં વધારો કરી આપ્યો છે. આ અંગે સી જી પટેલ પેનલના સેક્રેટરીએ જણાવ્યું કે 'આજે રાજ્ય સરકારે પંચને બે મહિનાનો સમય મર્યાદામાં વધારો કરી આપ્યો છે. આ વધારો 31 ઓગસ્ટ સુધીનો છે.'
નોંધનીય છે કે આ કેસની તપાસ છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે. 12 વર્ષમાં આ 22મી વાર વધારો કરી આપવામાં આવ્યો છે. આ પહેલા ડિસેમ્બર 2013માં છ મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો હતો. જેની મુદત આજે પુરી થાય છે. આ પંચમાં નિવૃત્ત ન્યાયાધીશ જી ટી નાણાવટી અને નિવૃત્ત ન્યાયાધીશ અક્ષય મહેતાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ 6ને સળગાવી દેવાયો હતો. ત્યાર બાદ ગોધરા અને ક્રમશ: સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તેની તપાસને એક ભાગ વર્ષ 2008માં રજૂ કરવામાં આવ્યો હતો. જેનું તારણ એ હતું કે 2002ના રમખાણો એક આયોજનપૂર્વકનું કાવતરું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજ્ય સરકારે 3 માર્ચ, 2002ના રોજ આ કમિશનની રચના કરી હતી. પ્રારંભમાં આ તપાસ કોચ 6 પુરતી મર્યાદિત રાખવામાં આવી હતી. ત્યાર બાદ મે 2002માં રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી ટી નાણાવટીને તપાસ સમિતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
જૂન 2002માં પેનલે ગોધરાકાંડ બાદના રમખાણોની તપાસ કરવાનું પણ જણાવ્યું હતું. વર્ષ 2008માં જસ્ટિસ કે જી શાહના નિધન બાદ હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાઘીશ અક્ષય મહેતાને કમિશનમાં નિમવામાં આવ્યા હતા.