ગુજરાતમાં 2025 માં 187 સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા ઝડપાયેલા સરકારી કર્મચારીઓના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં કુલ 187 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે.

આ આંકડાઓ મુજબ ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ સાબિત થયો છે, જ્યાં સૌથી વધુ 63 કર્મચારીઓ લાંચના કેસમાં એસીબીના સકંજામાં આવ્યા છે.
મહેસૂલ વિભાગમાં પણ ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં 27 જેટલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં 17, શિક્ષણ વિભાગમાં 10 અને નર્મદા જળસંપત્તિ વિભાગમાં 9 અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે.
વર્ષ 2025ના અંત સુધીમાં એસીબી દ્વારા નોંધાયેલા કેસોમાંથી 37 કિસ્સામાં આરોપીઓને સજા થઈ છે, જ્યારે 101 લોકો નિર્દોષ છૂટ્યા છે.
કર્મચારીઓના હોદ્દા મુજબ જોઈએ તો 13 ક્લાસ-1 અધિકારીઓ, 35 ક્લાસ-2 અધિકારીઓ અને સૌથી વધુ ક્લાસ-3 ના કર્મચારીઓ સામે ગુના નોંધાયા છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો ઉપરાંત ગુજરાતમાં કાર્યરત કેન્દ્ર સરકારના 16 જેટલા કર્મચારીઓ પણ લાંચના કેસમાં એસીબી દ્વારા ઝડપાયા છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા માત્ર એક વર્ષમાં નોંધાયેલી લાંચની ફરિયાદોના છે, જેની સામે ખાતાકીય અને કાયદેસરની તપાસ ચાલુ છે.












Click it and Unblock the Notifications
