ગુજરાતઃ ડૉક્ટરો પછી હવે 8 યુનિવર્સિટીના 250 પ્રોફેસરો ભાજપમાં જોડાયા
આશરે 250 પ્રોફેસરો શુક્રવારે ગાંધીનગરમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય શ્રી કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.
ગાંધીનગરઃ ગુજરાતની આઠ યુનિવર્સિટીઓના આશરે 250 પ્રોફેસરો શુક્રવારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય શ્રી કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પાર્ટીના એજ્યુકેશન સેલના કન્વીનર મહેન્દ્ર પડાલિયા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 9 મેના રોજ ગાંધીનગરના કમલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા.
આ પ્રસંગે મહેન્દ્ર પડાલિયાએ તમામ પ્રોફેસરોનુ સ્વાગત કરીને જણાવ્યુ હતુ કે શિક્ષણના મોરચે ચોક્કસ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ સહિત શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારુ કામ થઈ રહ્યુ છે. ભાજપમાં જોડાનારાઓમાં ગુજરાત રાજ્ય પ્રિન્સિપાલ એસોસિએશનના પ્રમુખ જયવંતસિંહ સરવૈયા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કમલેશ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિપાલસિંહ પરમાર અને નરસિંહ ડોડિયા અને ગુજરાત યુનિવર્સિટીના આરએસ પટેલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સિલસિલો યથાવત છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. શિક્ષણ સેલ દ્વારા 250 પ્રોફેસરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં નવા જોડાયેલા અધ્યાપકોને પણ વધુમાં વધુ લોકો ભાજપમાં જોડવા માટે જણાવાયુ છે. ગુજરાતમાં 900 જેટલા અધ્યાપકની જગ્યા ખાલી છે એ મામલે યુજીસીના નિયમ મુજબ ભરતી થાય એ જરુરી થાય એ વાત કરી હતી.