અમદાવાદ, 19 મે : ગુજરાત માટે ગર્વ લેવાનો અવસર આવ્યો છે. કારણ કે ગુજરાતને તેના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળવાના છે. વડા પ્રધાન તરીકે વરાયેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદી 21 મેએ ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપશે. ત્યાર બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે તેવા અહેવાલ મળી રહ્યા છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે તે પહેલા 20મી મેના મંગળવારના રોજ મોદીને પાર્ટીનું સંસદીય બોર્ડ નવા નેતા તરીકે વિધિવત્ ચૂંટી કાઢશે જે કેન્દ્રમાં એનડીએની સરકારનું નેતૃત્વ લેશે.
ભાજપના ગુજરાત એકમના નેતાઓને આજે એવા અહેવાલો મળ્યા છે કે ગુજરાતનાં નવા મુખ્ય પ્રધાન તરીકે સિનિયર પ્રધાન આનંદીબેન પટેલનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. તેઓ હાલ ગુજરાતમાં કેબિનેટ કક્ષાના મહેસુલ, માર્ગ અને પરિવહન મંત્રી છે.
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ ગુજરાતમાં નવા મુખ્ય પ્રધાનની પસંદગીની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે પાર્ટીના મહામંત્રી થાવરચંદ ગેહલોતને નિરીક્ષક તરીકે પસંદ કર્યા છે. તેમની હાજરીમાં 20મી મેએ ગુજરાતના વિધાનસભ્યો આનંદીબેન પટેલને તેમના નેતા તરીકે વિધિવત્ ચૂંટી કાઢશે. ત્યારબાદ 21મીએ મોદી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપશે.
એવા પણ અહેવાલ છે કે ભાજપની પિતૃ સંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) મોદીને ગુજરાતમાં પોતાના અનુગામીની પસંદગી કરવા માટે છૂટ્ટો દોર આપ્યો છે.
રાજ્યના પ્રધાનમંડળમાં આનંદીબેનની વરિષ્ઠતાને તેમજ વહીવટીતંત્રમાં તેમના બહોળા અનુભવને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાનના હોદ્દા માટે તેમનું નામ નક્કી કરવામાં આવ્યું છે.