ગુજરાતની આંગણવાડીઓમાં જૂન-૨૦૨૬થી આધારશિલા અભ્યાસક્રમ અમલમાં આવશે
ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંગણવાડીના બાળકો માટે 'આધારશિલા' અભ્યાસક્રમ મંજૂર કર્યો છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના આધારે તૈયાર થયેલો આ નવો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી લાગુ થશે. આ ફેરફારથી રાજ્યની તમામ આંગણવાડીઓમાં પાયાનું શિક્ષણ વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનશે.
સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે આંગણવાડીમાં બાળકો માટે ૪ કલાકનું શેડ્યૂલ રહેશે. જેમાં પુસ્તકિયા જ્ઞાનના બદલે રમત-ગમત દ્વારા શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
૩ થી ૬ વર્ષના બાળકો માટે ખાસ એક્ટિવિટી બુક અને આંગણવાડી કાર્યકરો માટે એક્ટિવિટી બેંક તૈયાર કરાઈ છે. આ નવા માળખાને યોગ્ય રીતે અમલી બનાવવા માટે કાર્યકરોને વિશેષ તાલીમ પણ અપાશે.
બાળકોના સર્વાંગી વિકાસને ટ્રેક કરવા માટે 'મારી વિકાસ યાત્રા' નામની ખાસ પુસ્તિકા પણ લોન્ચ કરવામાં આવી છે. જેના દ્વારા દરેક બાળકની શારીરિક અને માનસિક પ્રગતિનું વ્યક્તિગત મૂલ્યાંકન સચોટ રીતે થઈ શકશે.
આ અભ્યાસક્રમમાં દિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને સમાવેશી શિક્ષણ પર ધ્યાન અપાયું છે. વાલીઓની ભાગીદારી વધારવા દર મહિને 'બાળ દિવસ'ની ઉજવણી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
યુનિસેફ અને શિક્ષણ જગતના તજજ્ઞો દ્વારા તૈયાર થયેલો આ કોર્સ 'પંચ કોષ'ની સંકલ્પના પર આધારિત છે. વર્ષ ૨૦૧૬ના જૂના કોર્સના સ્થાને હવે આ આધુનિક પદ્ધતિથી બાળકોનો પાયો વધુ મજબૂત થશે.












Click it and Unblock the Notifications
