ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે
ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર ૨૭ થી ૨૯ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ માહિતી આપતા જણાવ્યું કે, આ શિબિર "સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ પર કેન્દ્રિત રહેશે.

આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો અને ૨૪૧ જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓ, જેમાં IAS અને IPS અધિકારીઓનો સમાવેશ થાય છે, ભાગ લેશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ચર્ચા સત્રો દ્વારા ગુજરાતના વિકાસનો એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી આ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ પરંપરાને આગળ ધપાવત રાજ્ય સરકારે પ્રશાસનમાં ટેકનોલોજી, પારદર્શિતા અને સંવેદનશીલતા લાવવાના હેતુથી આ ૧૨મી શિબિરનું આયોજન કર્યું છે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષની શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, તેમજ હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા મહત્વના વિષયો પર સામૂહિક ચિંતન અને મંથન કરવામાં આવશે.
ત્રણ દિવસીય આ શિબિરનો પ્રારંભ ૨૭ નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે. ત્યારબાદના બે દિવસોમાં વિવિધ ચર્ચા સત્રો, જૂથ ચર્ચાઓ અને બેઠકો યોજાશે. આ ઉપરાંત, વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓના વ્યાખ્યાનો પણ આ શિબિરનો એક ભાગ રહેશે.
શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના શ્રેષ્ઠ કામગીરી કરનાર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને "કર્મયોગી પુરસ્કાર" એનાયત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
