'આ અમને જેલમાં મોકલશે, અમે તેમને સ્કૂલમાં મોકલીશુ', અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ PM મોદી પર કર્યો કટાક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મિશન સ્કૂલ ઑફ એક્સીલન્સની શરુઆત કરી ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને પીએમ મોદી અને ભાજપ પર આકરો પ્રહાર કર્યો.
Gujarat Assembly Election: ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પારો જોરદાર ગરમાયો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ જોર પકડી રહ્યુ છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મિશન સ્કૂલ ઑફ એક્સીલન્સની શરુઆત કરી ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને પીએમ મોદી અને ભાજપ પર આકરો પ્રહાર કર્યો.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન સ્કૂલ ઑફ એક્સીલન્સની શરુઆત વખતે ક્લાસરુમમાં બાળકો વચ્ચે જઈને બેઠા. આના પર દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ફોટાનો કોલાજ શેર કરીને કટાક્ષ કર્યો. અરવિંદ કેજરીવાલે જે ફોટા શેર કર્યો તેમાં ક્લાસરુમની અંદર મનીષ સિસોદિયા સાથે લગભગ 20 બાળકો બેઠા હતા જ્યારે પીએમ મોદી સાથે માત્ર 5 બાળકો બેઠેલા દેખાયા. અરવિંદ કેજરીવાલે જો કે ફોટા સાથે કોઈ કેપ્શન નથી લખ્યુ પરંતુ તેમના ટ્વિટથી સ્પષ્ટ છે કે તેમણે પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યુ છે.
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'આ અમને જેલમાં મોકલી દેશે, અમે તેમને સ્કૂલ મોકલીશુ.' ઉલ્લેખીનીય છે કે દિલ્લી લિકર પૉલિસીમાં કથિત કૌભાંડને લઈને મનીષ સિસોદિયા હાલમાં CBIના રડાર પર છે. 17 ઓક્ટોબરે CBIએ મનીષ સિસોદિયાની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે સીબીઆઈની આ તપાસ દિલ્લીમાં ઑપરેશન લોટસને સફળ બનાવવાના કાવતરાનો એક ભાગ છે.