Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખંભાત, થરાદ અને ડીસા ખાતે સંબોધી સભા
દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 22 નવેમ્બર રોજ આણંદ જિલ્લાના ખંભાત તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ડીસા ખાતે ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં ચૂંટણી સભાઓ ગજવી હતી.
Gujarat Assembly Election 2022: ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 22 નવેમ્બર રોજ આણંદ જિલ્લાના ખંભાત તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ડીસા ખાતે ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ 1990થી સત્તાથી બહાર છે, તે બોર્ડ લગાવે છે કે, કોંગ્રેસનું કામ બોલે છે.
ગુજરાતમાં રોડ-રસ્તા, વીજળી, પાણી, બંદરોનો વિકાસ, શાંતિ-સલામતી, ઔદ્યોગિક વિકાસ, વિવિધ યોજનાઓનો અમલ કરી વિકાસ કરવાનું કામ છેલ્લા 27 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપે કર્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતના વિકાસથી શરૂઆત કરી, સમગ્ર દેશની અંદર પરિવર્તનનો માહોલ ઉભો કર્યો છે.

નેહરુ થી સોનિયા ગાંધી સુધી એક પરિવારે સરદાર પટેલનું સન્માન ન થાય તે પ્રકારે કામ કર્યું છે
અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલને અપમાનિત કરવામાં કોઈ કસર બાકી ન રાખનારી કોંગ્રેસ ચૂંટણીમાં વોટ લેવા સરદાર પટેલના નામનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસીઓએ સરદાર પટેલના અગ્નિસંસ્કાર પણ સન્માનજનક રીતે ન થાય, તેમની સ્મૃતિમાં કોઈ સ્મારક ન બને તે માટેના પેંતરા કર્યા, સરદાર સરોવર નર્મદા યોજનાને લટકાવી રાખી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી. સરદાર સાહેબને વારંવાર અપમાનિત કરતી કોંગ્રેસના રાહુલબાબા સહિતના કોઈ મોટા નેતા આજ દિન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા નથી. નેહરુ થી સોનિયા ગાંધી સુધી એક પરિવારે સરદાર પટેલનું સન્માન ન થાય તે પ્રકારે કામ કર્યું છે. વર્ષોથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં સરદાર સાહેબનું નામ લેવાથી ટિકિટ કપાઈ જશે તેવો ડર રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવળ સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક નથી બનાવ્યું, પણ તેની સાથે સાથે સરદાર સાહેબના રસ્તે ચાલી દેશને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે.

નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના સ્વપ્નને પૂર્ણ કર્યું.
અમિત શાહે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, ફક્ત વોટબેંક સાચવવા માટે કોંગ્રેસીઓએ કાશ્મીરમાં કલમ 370ને 60 વર્ષ સુધી ખોળામાં પોતાના બાળકની જેમ સાચવી, અયોધ્યામાં રામજન્મભૂમિના મુદ્દાને પણ સુલઝવા ન દીધો અને અનેક વર્ષો સુધી ટલ્લે ચડાવ્યો હતો. ભાજપા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કોઈ વોટબેંક કે સત્તા નહીં પણ દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા, વિકાસ અને કરોડો નાગરિકોની આસ્થા સૌથી ઉપર છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકી ઝાટકે કલમ 370 કાશ્મીરમાંથી હટાવીને સરદાર સાહેબના સ્વપ્નને પૂર્ણ કર્યું. મંદિર વહી બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે કહી, કરોડો દેશવાસીઓની આસ્થાની મજાક ઉડાવનાર કોંગ્રેસીઓ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને અયોધ્યામાં ભગવાન રામના ગગનચુંબી મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે. કાશીવિશ્વનાથ કોરીડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર, કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી, સોમનાથ સહિતના આસ્થા કેન્દ્રોને ભવ્ય બનાવવાનું કાર્ય ભાજપા સરકારે કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટદ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા અને કોંગ્રેસ વોટબેંક સાચવવા કહેવા લાગી કે કેમ હટાવ્યાં? કોંગ્રેસીઓને ગમે કે ન ગમે, બેટદ્વારકા જેવી સફાઈનું કામ ભાજપા ચાલુ રાખવાની છે.

ગુજરાત વિરોધી મેઘા પાટકરને આપ લોકસભાની ટિકિટ આપે છે
અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને મેઘા પાટકર જેવા ગુજરાત વિરોધી તત્વોએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આડે રોડા નાખવામાં કોઈ કસર બાકી ન હતી રાખી. ગુજરાતનો વિકાસ રુંધાઈ તે માટે કેન્દ્રમાં તે સમયની કોંગ્રેસ સરકારે અવનવા પ્રયત્નો કર્યા. માં નર્મદા યોજના માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપવાસ પર પણ ઉતરવું પડ્યું. આજે એ જ નર્મદા અને ગુજરાત વિરોધી મેઘા પાટકરને આપ લોકસભાની ટિકિટ આપે છે અને બીજી બાજુ કોંગ્રેસ તેની યાત્રાઓમાં શામેલ કરે છે. જેને હૈયે ગુજરાતનું હિત અને ગુજરાતીઓનું સન્માન નથી, એવા આ તત્વોને ગુજરાતની જનતા વિધાનસભા ચુંટણીમાં ચોક્કસ પાઠ ભણાવશે, તેવો વિશ્વાસ અમિત શાહે વ્યક્ત કર્યો હતો.

હેતુથી ભાજપા સરકારે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય કરીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો
અમિત શાહે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી-મનમોહનસિંહની સરકાર આતંકવાદી હુમલાઓ સામે કોઈ પગલાં ન ભરી શકતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઉરી અને પુલવામાંમાં આતંકી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક કરીને વિશ્વમાં સંદેશો આપ્યો છે કે, ભારતની સીમા કે ભારતની સેના સાથે જો કોઈ છેડખાની કરશે, તો પરિણામ ભોગવવા પડશે. દેશની કોઈ પણ મહિલાને સમાન અધિકારો મળવા જોઈએ તે હેતુથી ભાજપા સરકારે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય કરીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, એક જ પરિવારની ચાર પેઢીના અને 60 વર્ષના શાસનમાં ગરીબી હટાવવાની વાત કરીને કોંગ્રેસે શોષણ કરી ગરીબોને જ હટાવી દીધા હતા. જો કોંગ્રેસે ગરીબી હટાવી હોત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 કરોડ ગેસ કનેક્શન, 10 કરોડ શૌચાલય, ગામોમાં વીજળી, આયુષમાન ભારત યોજના લાવવાની જરૂર ન પડી હોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે રક્ષણ માટે દેશવાસીઓને 230 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે, ત્યારે રાહુલ ગાંધી મોદીની રસી છે ન લેતા એવું કહેતા કહેતા પોતે પણ રસી લઈ આવ્યા છે. 80 કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિદીઠ 5 કિગ્રા અનાજ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો દબદબો વિશ્વભરમાં વધાર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે પ્રમાણે બંને દેશોએ હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં સહયોગ આપ્યો, તે વિશ્વમાં ભારતનું વધતું સન્માન દર્શાવે છે. ડૉ. મનમોહનસિંહના સમયમાં 11માં સ્થાને રહેલી ભારતની અર્થવ્યવસ્થાને 5 માં ક્રમાંકે લાવવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગામડાઓમાં 24 કલાક વીજળી આપતું દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું હતું.
આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, એક સમયે સ્તંભતીર્થ નામથી જાણીતા ખંભાતના બંદર ગુજરાતની સમૃદ્ધિનું કેન્દ્ર હતા. ભાજપા પર ખંભાતનું ખૂબ મોટું ઋણ છે, ખંભાતે હંમેશા ભાજપાને સમર્થન આપ્યું છે. હરસિદ્ધ માતાની ભૂમિ, પતંગેશ્વર મહાદેવની ભૂમિ, જગન્નાથ ભગવાનની આ ભૂમિએ ભાજપાને અભૂતપૂર્વ ટેકો આપ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાને 8000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે
અમિત શાહે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પહેલા એક પાક લેવો મુશ્કેલ હતો આજે બનાસકાંઠાનો ખેડૂત બટાકા, મગફળી સહિતના વર્ષમાં વધારે પાક લેતો થયો છે. દેશમાં બટાકાના ઉત્પાદનમાં ડીસા તાલુકો નંબર 1 બન્યો છે. સુજલામ સુફલામ અને નર્મદા યોજના થકી બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. અંબાજી મંદિર, નડેશ્વરી માતા મંદિર, નડાબેટ સીમાદર્શનથી સરહદી વિસ્તાર એવા બનાસકાંઠામાં પ્રવાસન વધવાથી રોજગારી અને સરહદી ગામોમાં વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાને 8000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. થરાદ-અમદાવાદ હાઇવે માટે 448 હેકટર જમીનનું અધિગ્રહણ પૂર્ણ થયું હતું. જે 2023 માં કામ પૂર્ણ થશે. પ્રાકૃતિક ખેતીનો પ્રસાર પણ વધી રહ્યો છે. બનાસ ડેરી થકી બનાસકાંઠાના ખેડૂત સમૃદ્ધ બની રહ્યા છે. બનાસ ડેરીમાં દરરોજ 30 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે અને તેના યોગ્ય ભાવ પશુપાલકોને મળે છે, બનાસ ડેરીનો વ્યાપ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(કાશી)માં પણ વધ્યો છે. દેશનો પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનાસમાં છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક વિકાસ, સલામતી, દેશનું ગૌરવ, આસ્થા કેન્દ્રો એમ તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે 1 અને 5 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કમળનું બટન દબાવી તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવીએ. આ પ્રસંગે સાંસદો, પ્રવાસી આગેવાનો, સિનિયર અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધરાસભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
