ગુજરાત ભાજપ 20 સપ્ટેમ્બરના ભારત બંધને સમર્થન આપશે
એનડીએ દ્વારા આપવામાં આવેલા ભારત બંધમાં ગુજરાત ભાજપ જોડાશે. જેમાં દરેક શહેરોમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એનડીએ વતી હડતાલ જાહેર કરી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે "એનડીએ દ્વારા 15 સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ આપવામાં આવશે. મને લાગે છે કે અત્યાર સુધી લોકોમાં ભાવ વધારા અંગે જે રોષ હતો તે હવે બહાર આવશે. વર્તમાન કેન્દ્ર સરકારે જાતે વિચારવું રહ્યું કે યુપીએ સરકાર અંગે પોતાના મંતવ્યો આપવા માટે જનતા 2014 સુધી રાહ નહીં જોવે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "કેન્દ્રની વર્તમાન સરકારે વહેલી ચૂંટણી યોજવી જોઇએ અને લોકોને પોતાનો નિર્ણય સંભળાવવાની તક આપવી જોઇએ. આ ભાવ વધારો જાહેર કરતા પહેલા તેમણે કોઇ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ન હતી."