Gujarat Budget 2022 : શિક્ષણ વિભાગ માટે કુલ 34884 કરોડની જોગવાઇ
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 34884 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 34884 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. આ નીતિમાં સંશોધન અને સર્જનાત્મકતા (ઇનોવેશન), કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મૂકવામાં આવેલી છે. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્ચિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવી છે. આ નીતિમાં આઇસીટી-સક્ષમતા, સ્માર્ટ ક્લાસ-રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
विद्याधनं सर्व धनं प्रधानम् ।
સર્વ ધનમાં વિદ્યાધન મુખ્ય છે
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
- મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે જોગવાઇ 1188 કરોડ.
- પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓમાં તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે. હાલમાં અઢી હજાર ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10 હજાર નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે જોગવાઇ 939 કરોડ.
- આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકાય તે માટે 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે જોગવાઇ 90 કરોડ.
- સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા અને તેમાં રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો તેમને શિક્ષણ અને અન્ય તમામ સેવાઓ વિના મૂલ્યે મળે તે માટે જોગવાઇ 28 કરોડ.
- દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મેરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે જોગવાઈ 1068 કરોડ.
- રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે જોગવાઇ 629 કરોડ.
- અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે જોગવાઈ 205 કરોડ.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જોગવાઈ 129 કરોડ.
- છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં 245 ક્સ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27 હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે જોગવાઈ 122 કરોડ.
- ઘરથી શાળાનું અંતર એક કિલોમીટર થી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ લાવવા-લઇ જવા માટે જોગવાઇ 108 કરોડ.
- શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા માટે જોગવાઈ 87 કરોડ.
- વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા અને શાળાઓને સ્વચ્છતા સહાય માટે જોગવાઇ 81 કરોડ.
- સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા જોગવાઈ 145 કરોડ.
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે જોગવાઈ 37 કરોડ.
- શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે જોગવાઈ 21 કરોડ.
- મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે જોગવાઇ 12 કરોડ.
- ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા જોગવાઇ 5 કરોડ.
- સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરુકુળોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જોગવાઇ 8 કરોડ.
- સંસ્કૃતના અભ્યાસ માટે સામાજિક ભાગીદારીથી નવા સંસ્કૃત ગુરુકુળો શરૂ કરવા સંસ્કૃત શકિત ગુરુકુળ યોજના માટે જોગવાઇ 3 કરોડ.
- પ્રાથમિક શાળાઓ ખાતે CCTV કેમેરાની સુવિધા માટે જોગવાઇ 20 કરોડ.
- વડનગર ખાતે પ્રેરણાકેન્દ્ર શરૂ કરવા માટે જોગવાઇ 2 કરોડ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે જોગવાઈ 350 કરોડ.
- માઇન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટથી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરીત કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત 1 હજાર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને 10 હજાર શાળાઓમાં અંદાજે 50 લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે 300 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષ માટે જોગવાઇ 60 કરોડ.
- નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જોગવાઇ 200 કરોડ.
- ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે જોગવાઇ 117 કરોડ.
- ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ તરીકે જોગવાઈ 30 કરોડ.
- સરકારી કોલેજોના મકાન બાંધકામ, પુસ્તકો, આઇટી અને લેબોરેટરીના સાધનો માટે જોગવાઇ 26 કરોડ.
- પી.એચ.ડી. ના 1 હજાર વિદ્યાર્થીઓને સંશોધન તથા અન્ય ખર્ચને પહોંચી વળવા વિદ્યાર્થીદીઠ 2 લાખની સહાય પૂરી પાડતી શોધ યોજના અંતર્ગત જોગવાઇ 20 કરોડ.
- ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ટોય હાઉસ, પુસ્તક પ્રકાશન અને આઇ.ટી. ઉપકરણ માટે જોગવાઇ 2 કરોડ.
- સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક માટે બાંધકામ, સાધન-સામગ્રી, પુસ્તકો અને ખૂટતા ફર્નિચર માટે જોગવાઇ 37 કરોડ.
- આઇ.આઇ.ટી.આર.એ.એમ. ખાતે ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે જોગવાઇ 6 કરોડ.
- લિંબાયત(સુરત), જસદણ(રાજકોટ), બગસરા(અમરેલી), પાલીતાણા(ભાવનગર), વરાછા (સુરત) અને સંતરામપુર (મહીસાગર) ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે.
- આદિજાતિ વિસ્તારોના કાછલ(સુરત), ડેડીયાપાડા(નર્મદા) અને ખેરગામ(નવસારી) ખાતેની હયાત કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે.
- એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ અને ગાઇડ માટેની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ 9 કરોડ.