gujarat cabinet expansion : ગુજરાતમાં સરકારના મંત્રીઓના પત્તા કરાશે, આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્
gujarat cabinet expansion : ગુજરાતમાં રાજકીય વર્તુળોમાં હાલ મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે તીવ્ર ચર્ચાઓ છે. સુત્રો અનુસાર, એપ્રિલ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ થવાની સંભાવના છે.
હાલ રાજ્યમાં 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ મળીને કુલ 17 મંત્રીઓ છે, જ્યારે મંત્રીમંડળની મહત્તમ ક્ષમતા 27 મંત્રીઓ સુધી લઈ જવાઈ શકે છે.

જાણકારો અનુસાર, હાલની સરકારની કામગીરીને લઈને દિલ્હીના ભાજપ હાઈકમાન્ડમાં અસંતોષ જોવા મળ્યો છે. મંત્રીઓના કામકાજ અંગે અનેક ફરિયાદો પહોંચી રહી છે, જેમાં તેમની વહીવટી ક્ષમતા, અધિકારીઓ સાથેનો અણબનાવ અને શાસનને અસર પહોંચે તેવી કામગીરીનો સમાવેશ થાય છે.
જનતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવું, અમલીકરણમાં ખામીઓ અને પ્રચારમાં નિષ્ફળતા જેવી બાબતોને કારણે સરકારની છબી ધૂંધળી થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી 2027માં યોજાવાની છે. હાલની સ્થિતિમાં ભાજપ પાસે 161 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો સાથે છે. કોંગ્રેસ પક્ષ ભાજપ માટે મોટો પડકાર ઊભો કરી શકે તેવી શક્યતાઓ હાલની રાજકીય ગતિવિધિઓમાં જોવા મળતી નથી.
તેમ છતાં ભાજપ હાઈકમાન્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી અને આગામી ચૂંટણી પૂર્વે સરકારની છબી સુધારવા માટે મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરી શકે છે.
સૂત્રો અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણમાં 8થી વધુ મંત્રીઓને બદલવામાં આવી શકે છે, જેમાં ત્રણથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ સામેલ હોઈ શકે છે. નબળા મંત્રીઓની જગ્યાએ યુવાન, ભણેલા-ગણેલા અને સારી છબી ધરાવતા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ગુજરાતના રાજકીય માહોલમાં આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ખાસ કરીને રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા વધુ તેજીથી આગળ વધે તેવી શકયતા છે.












Click it and Unblock the Notifications
