Gujarat Cabinet Reshuffle: રિપીટ થનારા ધારાસભ્યોને ફોન આવી ગયા, પણ નવા ચહેરાઓને ફોન ન આવતા ઉત્સુકતા વધી, જાણો
Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે રાજકીય ઉત્તેજના ચરમસીમા પર પહોંચી ગઈ છે. આજે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાવાની છે, ત્યારે મંત્રી પદ મેળવવાની આશા રાખતા ધારાસભ્યોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

જૂના મંત્રીઓને ફોન, નવા ચહેરાઓ રાહમાં
સવારે 8 વાગ્યાની આસપાસ, ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં જે મંત્રીઓ હતા અને જેમને રિપીટ થવાની શક્યતા છે, તેમને તૈયાર થઈ જવા માટે કોલ આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, મંત્રી પદના પ્રબળ દાવેદાર ગણાતા નવા ચહેરાઓમાંથી કોઈપણ ધારાસભ્યને હજી સુધી સંગઠન તરફથી કોઈ કોલ આવ્યો નથી. આના કારણે મંત્રી પદ માટેના સંભવિત દાવેદારોમાં ભારે ઉત્સુકતા અને અટકળોનું બજાર ગરમ થયું છે.
મુખ્યમંત્રીએ રાજ્યપાલને નામો સોંપ્યા
આ દરમિયાન, મોટા સમાચાર મળી રહ્યા છે કે, CM ભૂપેન્દ્ર પટેલે થોડીવાર પહેલાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી અને નવા મંત્રીઓના નામની યાદી તેમને સોંપી દીધી છે. રાજ્યપાલને નામો સોંપાયા બાદ હવે ગમે ત્યારે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
નવા મંત્રીઓ CM નિવાસસ્થાને મળશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રી પદ માટે પસંદ કરાયેલા નવા ચહેરાઓ થોડીવારમાં CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેઓ સીધા શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે મહાત્મા મંદિર જવા રવાના થશે.
સ્ટેજ પર 28 ખુરશીઓ
મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેજ પર મુખ્યમંત્રી અને રાજ્યપાલ સિવાય 28 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મંત્રીમંડળની સંખ્યા 28 સુધીની હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા અને હવે ભાજપ મિશન 2027ને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક અને જાતિગત સંતુલન સાથે નવું મંત્રીમંડળ બનાવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
