Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આવતીકાલે યોજાશે શપથવિધિ, જાણો વધુ વિગત
Gandhinagar: ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરફાર શુક્રવાર, તારીખ 17 ઓક્ટોબરના રોજ સવારે 11:30 કલાકે યોજવામાં આવશે. આ શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેઓ હાલમાં હરિયાણામાં હતા, તેઓ પણ આ સમારોહ માટે આજે બપોર પછી જ ગાંધીનગર પરત ફરશે.
કેબિનેટ વિસ્તરણની અંદરની વાત: કોને પડતા મુકાશે?
મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, હાલના નવથી વધુ મંત્રીઓને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. આથી, આજે તેમના રાજીનામા લેવામાં આવશે. ત્યારબાદ 12થી વધુ ધારાસભ્યોને મંત્રી તરીકે ફરજ અને જવાબદારીના શપથ લેવડાવાશે.
દિલ્હીમાં PM નિવાસસ્થાને પાંચ કલાકની મેરેથોન બેઠક બાદ આખરે મંત્રીમંડળના વિસ્તરણનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ
રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે બુધવારે સાંજે વિધાનસભામાં શાસક પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડકો દ્વારા ભાજપના તમામ ધારાસભ્યોને ફોન કરીને કડક સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યોને 16મી ઓક્ટોબર (ગુરુવાર) અને 17મી ઓક્ટોબર (શુક્રવાર) એમ બે દિવસ ગાંધીનગરમાં જ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કોઈ પણ ધારાસભ્યને ગમે ત્યારે બોલાવી શકાય છે.
મંત્રીમંડળનું કદ અને સમીકરણ
CM ભૂપેન્દ્ર પટેલ આજે બપોર પછી મુંબઈથી પરત ફર્યા બાદ રાજ્યપાલને મળીને બરતરફ થતા મંત્રીઓના રાજીનામા અને પદનામિત મંત્રીઓના નામોની અંતિમ સૂચિ સોંપી શકે છે. બંધારણ મુજબ, મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદનું કદ મહત્તમ 27 મંત્રીઓનું રહી શકે છે. હાલમાં સરકારમાં 16 મંત્રીઓ છે. વિસ્તરણ પછી, નવા મંત્રીઓ અને વિધાનસભાના અન્ય છ મહત્ત્વના પદો ઉમેરતાં, ભાજપના કુલ 162 ધારાસભ્યોમાંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી અથવા તેના સમકક્ષ પદ મળવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
