ગુજરાતમાં મંત્રીમંડળ અને બોર્ડ-નિગમમાં વિસ્તરણની સંભાવના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી હવે પ્રધાનમંડળમાં વિસ્તરણ થવાની સંભાવના જોવા મળી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં લાગેલુ ભાજપ હાઈકમાન્ડ હવે ગુજરાત પ્રધાનમંડળના વિસ્તરણ પર ધ્યાન આપી શકે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી હવે પ્રધાનમંડળમાં વિસ્તરણ થવાની સંભાવના જોવા મળી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં લાગેલુ ભાજપ હાઈકમાન્ડ હવે ગુજરાત પ્રધાનમંડળના વિસ્તરણ પર ધ્યાન આપી શકે છે. રાજ્યમાં ભાજપના આંતરીક અસંતોષની આગને ઠારવાનું મુહુર્ત આવી ગયું છે. ગુજરાતમાં ધારાસભ્યોની નારાજગીને દુર કરવા માટે મંત્રી મંડળના વિસ્તરણનું લોલીપોપ આપવામાં આવ્યું હતું અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કેબિનેટના મુદ્દાને ભાજપનું શિર્ષ નેતૃત્વ હાથ પર લે તેવી સંભાવના છે.
કદ્દાવર ધારાસભ્યોમાં નારાજગીનો સૂર
રાજ્યમાં પ્રધાનમંડળની પ્રથમ રચના બાદ વિવાદ વકર્યો હતો. અનેક કદ્દાવર ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન ન મળતાં નારાજગી જોવા મળી હતી. જેના કારણે છાશવારે ધારાસભ્યોમાં ગણગણાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ધારાસભ્યોમાં અસંતોષની આગને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાલ તો ઠારી દીધી છે. તો, પ્રધાનોને ખાતાંની ફાળવણીને લઈને પણ અસંતોષ છે. નીતિન પટેલને નાણાં ખાતું ન મળતાં તેમણે પણ નારાજગી વ્યક્ત કરી હતી. મોવડી મંડળે આ વિવાદમાં હસ્તક્ષેપ કરી નીતિન પટેલને મનાવી લેવા માટે નાણા ખાતું આપ્યું હતું. પરંતુ નીતિન પટેલ સિવાય અન્ય ધારાસભ્યો પરષોત્તમ સોલંકી, જેઠા ભરવાડ અને અન્ય સિનિયર ધારાસભ્યોએ અસંતોષ અંગે જાહેરમાં નિવેદનો આપ્યા હતા અને ભાજપના અગ્રણી નેતાઓની સમજાવટ બાદ વિવાદ શાંત થયો હતો.
બોર્ડ-નિગમમાં થઈ શકે નવી નિમણૂંક
ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ સહિત બોર્ડ-નિગમોમાં નિમણૂંક કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વર્તુળો બોર્ડ કોર્પોરેશનમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટર તરીકે 50થી વધુ નેતાઓને નિયુક્ત કરવામાં આવે તો સ્થિતિ થાળે પડશે. કેબિનેટમાં અને સંસદિય સચીવ તરીકે હજું 10 કરતાં વધુ ધારાસભ્યોને સ્થાન આપવું પડશે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. જો, ધારાસભ્યો અને કદ્દાવર નેતાઓના અસંતોષનો શાંત નહી કરવામાં આવે તો, ભાજપ માટે આંતરીક વિખવાદ શાંત કરવો મુશ્કેલ થઈ શકે છે.
15થી વધુ ધારાસભ્યો મંત્રીપદના દાવેદાર
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાશકારો અનુભવી રહ્યા છે કારણ કે રિસામણા-મનામણાની મોસમ નવેસરથી શરૂ થઈ નથી. પરંતુ ધારાસભ્યોમાં ગણગણાટ ઓછો થયેલો જણાઈ આવી રહ્યો નથી. પરંતું, ચોક્કસ છે કે અસંતોષી ધારાસભ્યોને ગમે ત્યારે ગમે ત્યાં સમાવવા તો પડવાના છે. હાલમાં 15થી વધુ ધારાસભ્યો મંત્રીપદની હોડમાં છે. એટલે સીએમ અને ડેપ્યુટી સીએમ માટે કર્ણાટકની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કેબિનેટના રિશફલીંગનું કામ આવશે હાથ પર ધરવામાં આવશે તે નક્કી છે.
અનેક પ્રધાનોને પણ પ્રમોશનની અપેક્ષા
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ગૃહમંત્રાલયનો પદભાર રાજ્યકક્ષાના બદલે કેબિનેટ કક્ષાનો જોઈએ છે. પરષોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગના બદલે અન્ય ખાતું જોઈએ છીએ. દક્ષિણ ગુજરાતે ભાજપને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે પણ સમખાવા પુરતો એક જ મંત્રી બનાવ્યા છે અને તે પણ રાજ્યકક્ષાના બનાવાયા છે. કુમાર કાનાણીને મંત્રીપદ અપાયું છે પરંતુ તેનાથી દક્ષિણ ગુજરાતમાં અસંતોષ ઠરી ગયો છે એમ માની લેવું ભાજપના નેતૃત્વ માટે ભૂલભરેલું બની શકે છે. ત્યારે, રાજ્ય સરકાર કેબિનેટમાં કેટલાક નવા ચહેરાને સમાવી શકે છે તેમજ, બોર્ડ નિગમમાં પણ ખાલી પડેલી જગ્યાઓ પર કામગીરી હાથ ધરી સ્થિતિ યથાવત કરવા ભાજપ પ્રયાસ કરશે.