ખંભાળિયા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવી નરેન્દ્રભાઇને જન્મદિનની ભેટ આપે : આનંદીબેન
ખંભાળિયા, 6 સપ્ટેમ્બર : ગુજરાતમાં લોકસભાની 1 અને વિધાનસભાની 9 બેઠકો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજથી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમણે તેમની આગેવાનીમાં યોજાઇ રહેલી પ્રથમ ચૂંટણીઓ માટે આજે દ્વારકાના ખંભાળિયાથી પ્રચાર શરૂ કર્યો છે. આજે તેમણે ખંભાળિયામાં જાહેર ચૂંટણીસભા સંબોધી હતી.
વિધાનસભાની 81 ખંભાળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચૂંટણી સભાના મંચ પર સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસ કી ઔર મજબૂત કદમ, વિસ્તારનાં પ્રશ્નોનો સહજ-ત્વરિત ઉકેલ, સબળ - કુશળ સંગઠક જેવા સૂત્રો લગાવવામાં આવ્યા છે.વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આપ સૌએ સાથે મળીને જે વાતાવરણ બનાવ્યું હતું તેના કારણે ભાજપના હાથમાં ફરી ગુજરાતનું શાસન આવ્યું છે. વર્ષ 2012 અને તેના પહેલા નરેન્દ્ર મોદીને ખરી ખોટી સંભળાવવામાં, જુઠ્ઠાણું ચલાવવાનું કામ કોંગ્રેસે કર્યું તેનો તેમને પરચો મળ્યો. તેની સાથે આપણે ચૂપચાપ કામ કર્યું છે.
આપણે તેમની ગાળનો જવાબ આપવામાં પડ્યા ન હતા. આપણું ચારિત્ર તેવું નથી. આજે હું જાણું છું કે દિલ્હીમાં 100 દિવસના શાસનમાં કોંગ્રેસ દિલ્હી દરબારમાં નવરીધૂપ થઇ ગઇ છે.
ગઇકાલે ટીચર્સ ડે હતો. સમગ્ર દેશમાં આ દિવસે બાળકો સાથે વાતચીત કરવામાં શું ગુનો છે? આમ છતાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસને આઝાદી બાદ 60 વર્ષ મળ્યા છતાં તેઓ કંઇ કરી શક્યા નહીં.
ભાજપ અને તેના કાર્યકરોએ ઘરે ઘરે જઇને કામ કર્યું. તેમની સમસ્યાઓ જાણીને તેનો ઉકેલ લાવવાના વચન આપી તેને પુરું કરી બતાવ્યું. સતત 4 ટર્મથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા.
ગુજરાતનું મોડેલ એટલું સફલ થયું કે અન્ય રાજ્યના લોકો, અધિકારીઓ તેને જોવા આવ્યા, સમજવા આવ્યા અને તેને પોતાના રાજ્યમાં અપનાવવા આવ્યા. આ બાબતને ધ્યાનમાં લઇને સમગ્ર દેશે ભાજપના હાથમાં સૂકાન સૌંપ્યું. નરેન્દ્ર મોદીએ શું કામ કરીશું તેના સ્પષ્ટ વિચારો મુકીને જનસમર્થન મેળવ્યું.
દેશની જનતાએ વીજળી, શિક્ષણ, સારા રોડ રસ્તા, સારી આરોગ્યસેવા માટે હોસ્પિટલ્સ વગેરે માટે નરેન્દ્ર મોદીની પંસદગી કરી. બાજપ 272નો ટાર્ગેટ લઇને ચાલતી હતી, પણ તે સામે ભાજપને 334 બેઠકો મળી.
સુશીલ અને દેશહિત જોનારી પ્રજાએ મિલીજુલી સરકારને બદલે પૂર્ણ સરકાર આપવાનો નિર્ણય લઇને નરેન્દ્ર મોદીને પસંદ કર્યા.
ગુજરાતમાં ભાજપના મૂળિયા ઊંડા છે. આપણે જેટલી સીટો લડી રહ્યા છીએ તે બધી જ સીટો જીતીને નરેન્દ્રભાઇને આપવાની છે. 13 તારીખે ચૂંટણી છે અને 16 તારીખે મતગણતરી છે. આપણા ગુજરાતમાં 17 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. કોઇપણ દેશના રાષ્ટ્રપતિ કોઇ રાજ્યમાં જતા નથી. ત્યારે ગુજરાતને આ અવસર મળ્યો છે. વળી 17 તારીખે નરેન્દ્રભાઇનો જન્મદિવસ છે.
આપણે એક વાત કહેતા હતા કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન હતા ત્યારે તેઓ વિદેશ જાય ત્યારે તેમને કોઇ પૂછતું ન હતું. હવે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે વિદેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો ભારત આવી રહ્યા છે. આવા સમયે નરેન્દ્રભાઇને બેઠકો જીતીને ભેટ આપવાની છે.
નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાંથી 22 મે, 2014ના રોજ દિલ્હી ગયા ત્યારે તેમના ખાતામાં 25 લાખ રૂપિયા હતા, તે દિલ્હી જતા પહેલા તેને સરકારમાં જમા કરાવીને ગયા ત્યારે આપણે તેમને જન્મ દિવસની આ ભેટ આપવી જ જોઇએ.
હું આપની સામે આવી છું ત્યારે સૌરાષ્ટ્રના આગેવાનોની હાજરીમાં હું મારી લાગણી વ્યક્ત કરું છું કે વર્ષો વર્ષ પસાર થયા બાદ મહિલાઓ બીકની સ્થિતિમાં જીવી રહી છે. મહિલાઓએ આજે પણ હાથમાં ડબલું લઇને ઝાડી ઝાંખરા જોવે. કોઇ વાહન લઇને નીકળે ત્યારે તકલીફ પડે. ઝાઝરૂમાં બહેનોની આબરૂ સમાયેલી છે. તેમની કનડગત અટકાવીએ. બહેનો પર અત્યાચારમાંથી 30 ટકા અત્યાચારો રાત્રે ટોઇલેટ જતા સમયે થયા હોય છે. આવતા બે વર્ષમાં ગુજરાતના દરેક ઘરમાં ટોઇલેટ પુરું પાડવાનું સપનું સાકાર કરીએ. આ અભિયાનની શરૂઆત સરકારે કરી દીધી છે. અત્યાર સુધીમાં ગતિશીલ ગુજરાતમાં એક લાખ જાજરૂ નંખાઇ ગયા છે. બીજા બે લાખનો ઓર્ડર છે.
ગુજરાત અને મુંબઇમાં આગેવાનોને આ વાત ગળે ઉતરી છે. ટોઇલેટ જતા સમયે બહેનોની કનડગત શોભાસ્પદ નથી. મારું આ પદ પણ અભિયાન છે. આપણી બહેન બેટીની ઇજ્જત બચાવવાનું કામ આપણા હાથમાં છે.
ગુજરાતમાં કુપોષિત બાળકો હતા. ગુજરાતમાં ગરીબનું એક પણ બાળક કુપોષિત ના રહે તે માટે ખાસ દરકાર લઇને બાળકોને પોષણ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલા સશક્તિકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દરેક શાળા, કોલેજોમાં મહિલાઓને શારિરીક અને માનસિક રીતે સશક્ત બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે. નરેન્દ્રભાઇ 6 વર્ષોથી મનમોહનસિંહજીને વિનંતી કરતા હતા પરંતુ સરદાર સરોવર ડેમ પર દરવાજા મુકવાની મંજુરી આપવામાં આવતી ન હતી. નરેન્દ્રભાઇએ સત્તા હાથમાં લેતા જ ફાઇલો પરની ધૂળ ખંખેરીને 15 દિવસની અંદર તેને મંજુરી આપી હતી. જેના કારણે સૌને પીવાનું, સિંચાઇનું પાણી મળી રહે તેવી વ્યવસ્થાને આગળ ધપાવવાની સવલત કરી આપી હતી. ગુજરાતમાં પશુ માટે પણ પાણીની યોજના બનાવી છે. તેની ગણતરી કરીને પાઇપલાઇન અને પંપ નાખવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બન્યો છે. નવા જિલ્લા સેવા સદન માટે જમીન અપાઇ ચૂકી છે. ટેન્ડરો થોડા સમયમાં મૂકાશે. આવનારા એક દોઢ વર્ષમાં આધુનિક જિલ્લા સેવાસદન કાર્યરત થશે અને આપની સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે. ખંભાળિયામાં 150 બેટની હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સરકાર બહેનોની સાથે ભાઇઓની ચિંતા પણ કરે છે. મારી લાગણી બહેનો સાથે સંકળાયેલી છે. બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે ગ્રામ્ય વિસ્તારની અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને મિલ્કિંગ મશીન, બલ્ક મિલ્ક સ્ટોરેજ, ઘાસ કાપવાનું મશીન આપવામાં આવશે.
હું ખેડૂતની દીકરી છું અને 25 વર્ષ ખેતીનો અનુભવ છે. પશુઓને પૂળા આપવા માટે તેનું કટર અપાશે. બહેનોને આઇએએસ, આઇએફએસ બનવું છે. બહેનોમાં શક્તિ છે પણ પૈસાના અભાવે તેઓ તૈયારી કરી શકતા નથી. તેમાં ટ્યુશન અને પુસ્તકોનો ખર્ચો કરવો પડતો હોય છે. આ માટે પહેલી પરીક્ષા પાસ કરનારી દીકરી બીજી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવા જશે ત્યારે તેને રૂપિયા 90,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી વિના વ્યાજે આપવામાં આવશે. દીકરાઓ માટે રૂપિયા 75,000ની રકમ આપવામાં આવશે.
આપની પાસે હું આવી છું ત્યારે આ વિસ્તારના વિકાસ કરવાની ચિંતા અમારા મનમાં છે. સમાજના આગેવાનો અહીં બેઠા છે. આપ સમાજનું ગામનું નેતૃત્વ કરી રહ્યા છો. સૌને પીવાનું પાણી મળે, બાળકોને શિક્ષણ મળે, ખેડૂતોને વીજળી અને પાણી મળશે. આપની કોઇ પણ સમસ્યા હશે તો તે દૂર કરવાની ખાતરી હું મુખ્યમંત્રી તરીકે આપું છું.
હું મહિલા છું એટલે કામ કરી શકીશ નહીં એવું નથી. મારી પાસે 6 કરોડની જનતાનો સાથે છે ત્યારે હું ચોક્કસ કરી શકીશ. એક ખેડૂત પુત્રી, એક શિક્ષિકાએ રાજ્યનું સુકાન સંભાળ્યું છે તેને હું મહિલાઓનું ગૌરવ અનુભવું છું. હું ભાજપનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આ જવાબદારી નિભાવવાનો લાભ આપ્યો છે.
વિધાનસભાની 81 ખંભાળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચૂંટણી સભાના મંચ પર સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસ કી ઔર મજબૂત કદમ, વિસ્તારનાં પ્રશ્નોનો સહજ-ત્વરિત ઉકેલ, સબળ - કુશળ સંગઠક જેવા સૂત્રો લગાવવામાં આવ્યા છે.
વળી તેઓ પણ પોતાના પ્રચારમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાના છે. તેઓ લીમખેડા, ટંકારા અને તળાજામાં તેઓ ઓડિયોબ્રીજ ટેકનોલોજીથી સંબોધન કરવાના છે.
ચૂંટણી સભામાં આનંદીબેનનું સંબોધન વાંચવા અને સાંભળવા પેજ રિફ્રેશ કરતા રહો...