ભાજપના 35માં સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીનો નવતર અભિગમ
દાહોદ, 6 એપ્રિલ: આજે ભારતીય જનતા પાર્ટીનો 35મો સ્થાપના દિવસ હતો, જેની ઉજવણી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દાહોદ ખાતે કરી હતી. જેના ભાગરૂપે તેમણે વનમંડળીની બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વનવાસી ક્ષેત્રોમાં કાર્યરત વનમંડળીઓ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને વર્મીકમ્પોસ્ટ ખાતરના ઉત્પાદન અને વેચાણથી આર્થિક સમૃધ્ધિ તરફ લઇ જવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હવે ઓર્ગેનિક ખેતી તરફ વિશેષ ઝોક અપાઇ રહ્યો છે ત્યારે આવું વર્મીકમ્પોસ્ટ ખાતર તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે.
આનંદી બહેને આજે વનબંધુ વિસ્તાર દાહોદના વટેડા અને અંધારી સહભાગી વન વ્યવસ્થા મંડળીના મહિલા સભાસદો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ મહિલા સભ્યોને રાજય સરકારની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપક લાભ માટે પ્રેરિત કરતાં જણાવ્યું કે મહિલા શક્તિ એ વન વ્યવસ્થા અને ગૌણ વન પેદાશોના ઉત્પાદન-વેચાણ ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપીને પરિવારનો આર્થિક આધાર બનવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. હવે મહિલા સશક્તિકરણની રાજય સરકારની યોજનાઓનો લાભ લેવા પણ આ બહેનો આગળ આવે તે આવશ્યક છે.
મુખ્યમંત્રીએ ઘર ઘર શૌચાલયના નિર્માણ દ્વારા ગુજરાતને સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચક્રિયા મુકત રાજય બનાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં ભારપૂર્વક જણાવ્યું કે વન મંડળીઓ અને સહભાગી વન વ્યવસ્થા સમિતિના સભ્યોના ઘરે શૌચાલય હોય જ તે માટે પણ વન વિભાગ સજાગતા દાખવે. તેમણે મહિલા સભ્યોને તેમના સ્વમાન ગૌરવ માટે ઘર શૌચાલયની આવશ્યકતા સમજાવી હતી.
આનંદીબહેને વનબંધુઓ માટેની યોજનાઓના લાભ તેમના સુધી સાચ અર્થમાં પહોંચે તે માટે વન વિભાગ સહિત તંત્ર વાહકોને જનસેવા લક્ષી અભિગમની પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીના આ સંવાદ વાર્તાલાપ વેળાએ શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વન રાજયમંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર અને પદાધિકારીઓ તથા પ્રશાસનિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.