ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી
Gujarat News: ગુજરાતના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલની સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં રવિ સીઝનના પાકને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની અવધિ લંબાવવામાં આવી છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?
સામાન્ય રીતે રવિ સીઝન માટે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી જ કેનાલોમાં સિંચાઈનું પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓને કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા:
- મોડું ચોમાસું: ગત ચોમાસું મોડે સુધી ચાલવાને કારણે અને કમોસમી વરસાદને લીધે ખરીફ પાકને નુકસાન થયું હતું.
- મોડી વાવણી: ચોમાસું લંબાવાને કારણે રવિ સીઝનની વાવણી પ્રક્રિયા પણ મોડી શરૂ થઈ હતી, જેના લીધે પાકની કાપણી (લણણી) માં પણ વિલંબ થવાની શક્યતા છે.
- ખેડૂતોની માંગ: ખેડૂત આગેવાનોએ રવિ પાકને પૂરતું પાણી મળી રહે તે માટે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કેનાલ ચાલુ રાખવા રજૂઆત કરી હતી.
આ તમામ પાસાઓ પર ગત 11 માર્ચ 2026ના રોજ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પીવાના પાણીના જથ્થા અને અન્ય અનામત જથ્થાની સમીક્ષા કર્યા બાદ CMએ ખેડૂતોના હિતમાં એપ્રિલના અંત સુધી પાણી આપવાનો નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
