ગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પરિણામ 20 ડિસેમ્બર, 2012ના રોજ જાહેર થયું. ગુજરાતમાં તમામ પક્ષોએ જનાદેશનો માથે ચઢાવ્યો. પણ ગુજરાત કોંગ્રેસ જનાદેશને માથે ચઢાવતાવેંત મૂર્છા ખાઇ ગઇ. ચૂંટણી પહેલા ટેલિવિઝન પર દરરોજ ગુજરાત સરકારની ટીકા કરતા, કોંગ્રેસેને ગરીબોની બેલી કહેતા કોંગ્રસના નેતાઓ ક્યાં અદ્રશ્ય થઇ ગયા તેની ખબર પડતી નથી.
ચૂંટણીમાં ગુજરાતના અગ્રણી નેતાઓ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, દિગ્ગજ નેતા સિધ્ધાર્થ પટેલની હાર થઇ છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ પદેથી અર્જુન મોઢવાડિયાએ અને વિપક્ષના નેતા પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામા આપી દીધા હતા. વર્તમાનમાં કોંગ્રેસના એક માત્ર દિગ્ગજ નેતા શંકરસિંહ વાધેલાની જીત થઇ હતી. જો કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ 21 ડિસેમ્બર પછીથી કોંગ્રેસની જાહેરખબરો તો બંધ થઇ જ ગઇ છે પણ કોંગ્રેસના નેતાઓ પોતાનો ચહેરો પણ છૂપાવતા ફરી રહ્યા છે.
મહત્વની બાબત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિમાં પણ કોંગ્રેસે હાજર નહીં રહીને લોકશાહી પરંપરાનું અપમાન કર્યું છે. આ માટે કોંગ્રેસે એવું કારણ આપ્યું કે શપથવિધિ પાછળ થતા ખર્ચના વિરોધમાં અમે ભાગ નહીં લઇએ, પણ ત્યાર બાદ પણ તેઓ હાજર થયા ન હતા.
કોંગ્રસની હાર બાદ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની ચિંતન બેઠક ક્યારે યોજવી તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સાથે પાર્ટીનું સૂકાન કોને સોંપવું કે અર્જુન મોઢવાડિયાને પ્રમુખ પદે ચાલુ રાખવા તે અંગે પણ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.
હવે 28 ડિસેમ્બર, 2012ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 127મો સ્થાપના દિવસ છે પણ ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે કોંગ્રેસના કાર્યકરો દ્વિધા અનુભવી રહ્યા છે. સુકાની વિનાની નાવમાં બેસીને કોંગ્રેસ કયા કાંઠે પહોંચશે તે આવનારો સમય જ સ્પષ્ટ કરશે.