પાસ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક પૂર્ણ, પાસનું હકારાત્મક વલણ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિને ઓબીસી અનામત મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ. જેમાં પાસ તરફથી હાર્દિક દ્વારા કોર કમીટીની ટીમ નક્કી કરવામાં આવી. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિને ઓબીસી અનામત મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ માટે પાસ તરફથી હાર્દિક દ્વારા કોર કમીટીની ટીમ નક્કી કરવામાં આવી હતી. જેમાં દિનેશ બામભણીયા, અલ્પેશ કથિરીયા, લલીત વસોયા, ઉદય પટેલ, કીરીટ પટેલ, ગીતા પટેલ, હર્ષદ પટેલ, અતુલ પટેલ અને મનોજ પનારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાસ અને કોંગ્રેસ વચ્ચેની આ બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. આ બેઠકમાં ચર્ચાયેલ મહત્વના મુદ્દાઓ અને નિર્ણય નીચે મુજબ છે.
બેઠકમાં શું ચર્ચા થઇ?
કોંગ્રેસ પાટીદાર દમન મુદ્દે સ્પેશ્યિસ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા તપાસ કરાવવા માટે તૈયાર થઇ છે. કોંગ્રેસે 35 લાખ રૂપિયાની આર્થિક સહાય અને મૃતક પરિવારમાં એક વ્યક્તિને નોકરીની ખાતરી આપી છે, તેમજ બંધારણીય રીતે બિન અનામત આયોગની સ્થાપના તથા રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવાની ખાતરી પણ કોંગ્રેસે આપી હતી. આ અંગે પાસના અલ્પેશ કથિરીયાએ કહ્યું હતું કે, અનામત મુદ્દે કાયદાકીય તેમજ ટેક્નિકલ બાબતે ચર્ચા બાકી હોવાથી ફરીથી મીંટીગ કરાશે.
હાર્દિકે આપ્યું હતું અલ્ટિમેટમ
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા કોંગ્રેસને તા.3જી નવેમ્બરનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે તા. 3 પહેલા કોંગ્રેસ ઓબીસી અનામત મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે, નહીં તો અમિત શાહ જેવા હાલ સુરતમાં રાહુલ ગાંધીના થશે. હાર્દિક પટેલની આ ચીમકી બાદ રવિવારે સાંજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમને ચર્ચા માટે બોલાવ્યા હતા. જો કે, આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર નહીં રહે. બીજી તરફ રવિવારે જ કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ એ વાત કરી હતી કે, કોંગ્રેસ 20 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકોને આપવા તૈયાર છે અને 49 ટકાની મર્યાદામાં કોઇ અસર ન પડે તે રીતે પાટીદાર માટે પણ ઓબીસીમાં સમાવેશ કરવા માટેની વિચારણા કરી રહી છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોંલકી સહિતના નેતા પાસ કોર કમીટી સાથે મીટીગ કરશે. બીજી તરફ સોમવારે સાંજે પાસ લીડર હાર્દિક પટેલ રાજકોટમાં આ મુદ્દે મીડિયા સાથે બેઠક કરી પાસનું સ્ટેન્ડ નક્કી કરે તેવી પુરેપુરી શક્યતા છે.