ગુજરાત ઉદ્યોગપતિઓનું નહીં, ગુજરાત માછીમારોનું છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોરબંદર ખાતે નવસર્જન કાર્યક્રમમાં જે ભાષણ આપ્યુંં તે અંગે વિગતવાર વાંચો. આ ભાષણમાં રાહુલે મન કી બાતથી લઇને ખાનગીકરણ મામલે કરી અનેક ટિપ્પણી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે આજે કોંગ્રેસની નવસર્જન યાત્રા અંતર્ગત રાહુલ ગાંધીએ પોરબંદર ખાતે જનસભાને સંબોધી હતી. અહીં તેમણે ભાજપ પર અને મોદી સરકાર પર અનેક આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે તેમણે ટાટા નેનોથી લઇને પોર્ટ ઉદ્યોગપતિઓને આપવા અને મન કી વાત જેવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી. સાથે જ વિધાનસભાની ચૂંટણી પછી માછીમારો માટે અલગથી મંત્રાલય બનાવાની વાત પણ ઉચ્ચારી હતી. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કેવા કેવા મુદ્દા ઉઠાવ્યા હતા વિગતવાર જાણો અહીં...

ટાટા નેનો
રાહુલ ગાંધીએ તેમની પોરબંદર ખાતેની જનસભામાં ફરી એક વાર ટાટા નેનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અહીં કહ્યું કે ટાટા નેનોને બનાવવા નરેન્દ્ર મોદીએ ટાટાને જેટલા રૂપિયાય આપ્યા UPAની સરકારે તેટલા જ રૂપિયા મનરેગામાં નાખ્યા. જેનાથી દેશને રોજગાર મળ્યો. પણ મોદી ટાટા નેનોને એટલા જ રૂપિયા આપ્યા હોવા છતાં ગુજરાતમાં આજે એક પણ નેનો ગાડી નથી દેખાતી, તેમ તેમણે કહ્યું.
ઉદ્યોગપતિઓની સરકાર
વધુમાં રાહુલ ગાંધી અહીં કહ્યું કે એક પછી એક પોર્ટ એક ઉદ્યોગપતિને મોદી સરકાર આપી રહી છે. તેમણે કહ્યું કે તમારા માટે ગુજરાતમાં કંઇ નથી કરવામાં આવતું અને તે ગુજરાતની સચ્ચાઇ છે. સાથે જ તેમણે આ પ્રસંગે ગુજરાતના ખાનગીકરણ પર પણ અનેક પ્રશ્નો કર્યા.
ખાનગીકરણ
તેમણે કહ્યું દરેક માછીમાર ઇચ્છે છે કે તેમના બાળકો પણ મોટા થઇને ડોક્ટર કે એન્જિનિયર બને. પણ ગુજરાતમાં ખાનગીકરણ એટલી હદે ફેલાયું છે કે તે પોતાનું આ સપનું સાચું નથી કરી શકતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં 90 ટકા કોલેજ પ્રાઇવેટ થઇ ગઇ છે. તો પછી કેવી રીતે તમારા બાળકો ડોક્ટર કે એન્જિનિયર બની શકશે. એક્સ રે, એમઆરઆઇ માટે પણ હોસ્પિટલના ખાનગીકરણ કરવાના ચક્કર લોકોના ખિસ્સામાંથી લાખો રૂપિયા જતા રહે છે.
માછીમારોને સંગઠિત
રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે માછીમારો માટે કોંગ્રેસે સમગ્ર દેશમાં પહેલી વાર સંગઠન બનાવ્યું છે. એગ્રીકલ્ચરની મિનિસ્ટ્રી હોય તેમ જ કેન્દ્રમાં અમારી સરકાર આવતા અમે માછામારી માટે પણ એક મંત્રાલય બનાવીશું. તેમણે કહ્યું કે ગુજરાત ઉદ્યોગપતિઓનું નથી ગુજરાત માછીમારોનું છે.
સરદાર પટેલ
રાહુલે કહ્યું કે ગુજરાતના બે પુત્રોએ બ્રિટિશરોને ભગાડ્યા હતા, એક મહાત્મા ગાંધી અને બીજા સરદાર પટેલ. તમારામાં ખૂબ શક્તિ છે. આ ગુજરાત તમારા લોહી પરસેવાથી બન્યું છે. તમે ગુજરાત અને ભારતને બનાવો છો. અને આ કામ માટે તમને સરકારે મદદ કરવી જોઇએ. તમારી વાત સાંભળવી જોઇએ. તમારી મુશ્કેલીઓ ઓછી કરવી જોઇએ.
મન કી બાત
રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીજી દર થોડા દિવસે માછીમારો, ,નાના વેપારી, ખેડૂતોને પોતાના મનની વાત કરે છે. પણ કોંગ્રેસ પાર્ટી તમારા મનની વાત સાંભળા માંગે છે. મારા મોઢેથી તમારા મનની વાત નીકળવી જોઇએ. ત્યારે ગુજરાત અને ભારતની સરકાર ઠીક રીતે ચાલશે.
કોંગ્રેસ જીતશે
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડિસેમ્બરમાં ચૂંટણી છે જેમાં કોંગ્રેસ જ જીતશે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ જીતશે ત્યારે અમારા દરવાજા તમારા માટે ખુલ્લા હશે. અને તે દરવાજાની અંદર તમારા મનની વાત સંભળાશે. અને જે તમે કહેશો તેની પર અમે અમારી સરકાર ચલાવીશું. 22 વર્ષથી સીએમ ઓફિસ અને વિધાનસભામાં ખાલી ગુજરાતના સૌથી પૈસાદાર લોકો અને ઉદ્યોગપતિઓની જ વાત સાંભળવામાં આવે છે. તેમણે જે માંગ્યું તે તેમને રૂપાણી અને મોદીએ આપ્યું. પણ કોંગ્રેસની સરકાર આવતા બધુ બદલાશે.












Click it and Unblock the Notifications
