ઈડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછ મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યુ!
નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાહુલ ગાંધીની પુછપરછ મુદ્દે દેશમાં કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટેટે સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.
ગાંધીનગર : નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાહુલ ગાંધીની પુછપરછ મુદ્દે દેશમાં કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટેટે સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આ બાબતને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી પોલિટીકલ કાર્યવાહી કરી રહી છે. જેને લઈને આજે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસનું આ પ્રતિનિધિમંડળ ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં રાજ્યપાલ પાસે પહોંચ્યુ હતું અને આવેદન પત્ર આપ્યુ હતું. કોંગ્રેસનો આરોપ છે કે રાજકીય કિન્નાખોરી રાખીને સરકાર તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહી છે અને વિરોધીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સામે વાત કરતા જણાવ્યુ કે, છેલ્લા ચાર દિવસથી ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. વર્ષો જૂના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી બીમાર છે છતાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમણે કે રાહુલ અને સોનિયા ગાંધીને ડરાવીને નોટિસ આપવામાં આવી છે. આ સાથે તેમણે કોંગ્રેસ સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે વિરોધ કરશે તેવી જાહેરાત પણ કરી હતી.