બહુ જલ્દી શિયાળો દસ્તક દેશે, હવામાન વિભાગની ઠંડી પડવાની આગાહી
ગુજરાતમાંથી વરસાદની વિદાય સાથે જ હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે, જે સૂચવે છે કે નવેમ્બરની શરૂઆત સાથે શિયાળો તેના આગમનની ઘોષણા કરશે.
છેલ્લા ઓક્ટોબર મહિનાના અંતમાં થયેલા કમોસમી વરસાદ બાદ હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સૂકું વાતાવરણ રહેશે. હાલમાં નીચલા સ્તરેથી દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે વાતાવરણમાં ઠંડક લાવશે.

IMD એ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના મેદાની વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી સૂકું હવામાન રહેશે. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ તે પછીના છ દિવસમાં તેમાં ૨-૩ ડીગ્નીનો ક્રમશઃ ઘટાડો થશે, જે શિયાળાના આગમનનો સંકેત આપશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે આંશિક વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. ૬ નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન ૨૨ ડીગ્ની આસપાસ રહેવાની ધારણા છે. આગામી અઠવાડિયા માટે કોઈ વિશેષ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે હવામાન સાફ થતાં સિદ્ધપુરમાં કારતકી પૂર્ણિમાનો મેળો અને રાજસ્થાનમાં પુષ્કર મેળો જેવા ખુલ્લા આકાશમાં યોજાતા મેળાઓ શરૂ થઈ ગયા છે. અગાઉ, કારતક સુદ અગિયારસથી શરૂ થઈ કારતક પૂનમે સમાપ્ત થતી ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેનાથી પરિક્રમા માર્ગને નુકસાન થયું હતું.












Click it and Unblock the Notifications
