29 જુલાઇથી અમદાવાદમાં દરરોજ સાબરમતીની આરતી ઉતારાશે
અમદાવાદ, 17 જુલાઇ : અમદાવાદીઓ માટે વરસાદની સાથે અન્ય એક આનંદના સમાચાર એ છે કે આ મહિનાથી જ સાબરમતી નદીની આરતી ઉતારવાનું શરૂ થશે. આ અંગે આજે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે જેમ દરરોજ ગંગાજીની આરતી ઉતારવામાં આવે છે તેમ સાબરમતી નદીની પણ દરરોજ આરતી ઉતારવામાં આવશે. આ શુભારંભ આગામી 29 જુલાઇથી કરવામાં આવશે.
નોંધનીય છે કે ગયા મહિને એટલે કે જૂન 2014માં અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં યોજાયેલી એકતા સમિતિની બેઠકમાં ગંગાજી અને યમુનાજીની દૈનિક આરતી પૂજનની જેમ સાબરમતી નદીની આરતી-પૂજન કરવાનું સૂચન થયું હતું.
ત્યારા બાદ સમિતિમાં ચર્ચા થઇ હતી કે સાબરમતી નદીની દરરોજ આરતી અને પૂજન કરવાનુ શક્ય ન હોવાથી જગન્નાથ મંદિરના સાધુસંતોએ રથયાત્રા બીજના દિવસે કાઢવામાં આવે છે તે મુજબ દરમહિનાની બીજના દિવસે ભવ્ય આરતી અને પૂજન કરવાનુ સૂચન કર્યુ હતું. જેને એકતા સમિતિએ વધાવી લીધું હતું.
કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર સાબરમતી નદીની આરતીમાં નાગરિકો પણ જોડાઇ શકશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમાં જરૂરી સહયોગ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
જો કે હવે સાબરમતી નદીની દૈનિક આરતી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દૈનિક આરતી અને પૂજનની જવાબદારી કોને સોંપાશે તે અંગેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી સાબરમતી નદીને શુધ્ધ કરવા અને સુંદરતા વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે સાબરમતી નદીમાં એકદમ શુધ્ધ પાણી જોવા મળે છે.