ભાનુભાઇના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, ઉંઝા આજે થશે અંતિમવિધિ
રવિવારે મોડી રાતે ભાનુભાઈ ના પરિવાર ની માંગ રાજ્ય સરકારે સ્વીકારી, લેખિત માં ખાતરી આપતા હવે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આજે 11 વાગે ઉંઝામાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે
અંતે રાજ્ય સરકારે દલિત નેતા ભાનુભાઈ વણકર ના આત્મવિલોપન મામલે ગુંચવાયેલો મામલો ઉકેલી લીધો છે. જેમાં રવિવારે મોડી રાતે કોંગ્રેસના દસાડા ના ધારાસભ્ય નૌશાદ સોલંકી, જીજ્ઞેશ મેવાણી અને પરિવાર ના સભ્યોએ ગાંધીનગર રેન્જ આઈ જી આર બી બ્રહ્નભટ્ટ , ગાંધીનગર જિલ્લા કલેકટર, ડિરેક્ટર ઓફ એસ સી ડિપાર્ટમેન્ટ, તેમજ અન્ય અધિકારી ઓની હાજરીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 3 કલાક સુધી મિટિંગ કરી હતી. અને રાજ્ય સરકારે તેમની તમામ માંગણીઓ માની હતી. પણ લેખિત માં કોઈ ખાતરી આપી નહોતી. જેથી પરિવારજનોએ મિટિંગને પુરી કરી હતી. પણ છેવટે રાજ્ય સરકારે પીછેહટ કરવી પડી હતી અને અધિકારીઓ ને તાત્કાલિક સૂચના આપી હતી કે તમામ માંગણી લેખિતમાં સ્વીકારી ને તેમના દ્વારા આ પત્રમાં સહી પણ કરવામાં આવી હતી. જેથી લગભગ 1 વાગે તમામ અધિકારી ઓએ માંગણી સ્વીકારતો પત્ર ભાનુભાઈ ના પરિવાર જનોને આપતા છેવટે મામલો થાળે પડ્યો હતો.

જેમાં રાજ્ય સરકારે પહેલી માંગણી માં ખાતરી આપી હતી. કે રાજ્ય માં દલિતોને જમીન મામલે જે કેસ સમગ્ર રાજ્યમાં પેન્ડિગ હોય તેનો 6 માસમાં નિકાલ કરવો. બીજી માંગણી એ સ્વીકારવામાં આવી હતી કે ભાનુભાઈએ જે જમીન મામલે આત્મવિલોપન કર્યું હતું તે જમીનનો પ્રશ્ન 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. જ્યારે ત્રીજી માંગ એ માનવામાં આવી છે કે આ કેસની તપાસ સીટ દ્વારા કરવામાં આવે. ચોથી માંગ માં સ્વ. ભાનુભાઈ ને તેમના સામાજિક કામ માટે ખાસ એવોર્ડ આપવામાં આવે જે માટે ખાતરી આપવામાં આવી છે. પાંચમી માંગ માં સરકારે માન્યું છે કે ભાનુભાઈના પરિવાર જનો ને યોગ્ય જગ્યાએ નોકરી આપવામાં આવે. અને છઠ્ઠી માંગણી એ માનવામાં આવી છે કે ઊંઝા નગરપાલિકાની હદમાં ભાનુભાઈ ની પ્રતિમા મુકવા માં આવશે. તેમજ રાજ્ય સરકારે એ પણ ખાતરી આપી હતી કે 3 દિવસમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. અને આંદોલન દરમિયાન જે લોકો સામે પોલીસ કેસ થયા છે તે પરત ખેંચવામાં આવશે.
આમ, ગત મોડી રાતે આ મામલાનો ઉકેલ આવતા રાજય સરકારે રાહત અનુભવી હતી. હવે સોમવારે સવારે 11 વાગે ઉંઝા ખાતે ભાનુભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ માટે તેમના ઘરથી અંતિમ સંસ્કારવાળી જગ્યા સુધી ચાંપતો પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. જીજ્ઞેશ મેવાણી સમેત તમામ નેતાઓની હાજરીમાં તેમના પરિવારજનો ભાનુભાઇની અંતિમ વિધિની પ્રક્રિયા કરશે તેમ મનાય છે.












Click it and Unblock the Notifications
