બિદાઈ કી ઘડી આઈ.... : ગુજરાત ભારે હૈયે સોંપશે બીજો ‘લોખંડી પુરુષ’!
અમદાવાદ, 17 મે : બિદાઈ.... કી.... ઘડી... આઈ... મેરે બચ્ચોં.... ક્યોં રોતે હો... હંસો, દુઃખી તુમ ક્યોં હો... તુમ મેરી મુસકાન તો દેખો... જાતી માં કી શાન તો દેખો... આ પંક્તિઓ છે હિન્દી ફિલ્મ બિદાઈના ગીતની કે જે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના લોકોમાં બંધબેસતી લાગે છે.
સાચે જ બિદાઈ કી ઘડી આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હવે ગુજરાતમાંથી વિદાય કરવાનો સમય આવી ગયો છે. આ એ જ નરેન્દ્ર મોદી છે કે જે ગુજરાતમાં છેલ્લા તેર વર્ષથી મુખ્યમંત્રી છે અને ગુજરાતમાં છેલ્લા તેર વર્ષથી ચારેકોર તેમનો જ અવાજ સંભળાતો હતો. નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જોકે બિદાઈ ફિલ્મની આ પંક્તિઓ આવી રીતે કરી શકાય કે બિદાઈ.... કી.... ઘડી... આઈ... મેરે ગુજરાતીઓ.... ક્યોં રોતે હો... હંસો, દુઃખી તુમ ક્યોં હો... તુમ મેરી મુસકાન તો દેખો... બનતે પીએમ કી શાન તો દેખો...
ગુજરાતનું હૈયુ ભારે થઈ રહ્યું છે. એ તો સૌ ગુજરાતી જાણતા હતાં કે નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં વિજયી હૅટ્રિક લગાવ્યા કેન્દ્રના રાજકારણનો રુખ કરશે અને લોકસભા ચૂંટણી 2014ના પડઘમ શરૂ થતા ગુજરાતે નરેન્દ્ર મોદી તરીકે દેશને સરદાર સોંપવાની તૈયારી પણ કરી લીધી હતી. આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનો ઉત્સાહ હતો, પરંતુ આજે જ્યારે મોદીને વિદાય આપવાનો સમય પાકી ગયો છે, ત્યારે દરેક ગુજરાતનું મન હર્ષ સાથે ભારે થઈ રહ્યું છે. જોકે ગુજરાત આવું પહલી વાર નથી કરી રહ્યું. ગુજરાતે અગાઉ પણ આ દેશને એક સરદાર સોંપ્યો હતો અને આજે 86 વર્ષ બાદ નરેન્દ્ર મોદી તરીકે બીજો સરદાર દેશને સોંપવા જઈ રહ્યું છે.
ચાલો સ્લાઇડર સાથે જાણી કે કેમ ગુજરાતનું હૈયુ ભારે થઈ રહ્યું છે :

7મી ઑક્ટોબર, 2001ના રોજ એન્ટ્રી
નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં તો સક્રિય હતાં, પરંતુ તેઓ ચૂંટણીગત રાજકારણમાં પ્રવેશ્યા 2001માં કે જ્યારે હાઈકમાંડે કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે મૂકવાનો નિર્ણય કર્યો. નરેન્દ્ર મોદી 7મી ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં અને આજ પર્યંત છે.

રાષ્ટ્રીય વિરોધ છતા વધાવ્યાં
ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીને હંમેશા વધાવ્યા જ છે. 2002ના ગોધરા કાંડ અને તે પછી થયેલ કોમી રમખાણો બાદ આખા દેશમાં નરેન્દ્ર મોદીનો ભારે વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીને ભરપૂર પ્રેમ આપ્યો અને વિધાનસભા ચૂંટણી 2002માં ભારે બહુમતીથી વિજયી બનાવ્યાં. રમખાણો જ નહીં, પણ નકલી એનકાઉંટર સહિતના વિવિધ મુદ્દે પણ મોદીની ટીકાઓ દેશમાં થતી રહી, પરંતુ ગુજરાતનો પ્રેમ મોદી સાથે જળવાયેલો રહ્યો અને તેથી જ લોકોએ 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ મોદીને જ વિજયી બનાવ્યાં.

વાઇબ્રંટથી કાઇટ : યાદ રહેશે ઉત્સવો
ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ 7મી ઑક્ટોબર, 2001થી લઈ આજ સુધી અનેક ઉત્સવો યોજ્યાં. મોદીએ ગુજરાતના લોકોને ઉત્સવના માધ્યમથી સરકાર અને વહિવટીતંત્ર સાથે જોડ્યાં. લોકો નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સમ્મેલનથી લઈ પતંગ મહોત્સવ, વિવિધ જિલ્લાઓમાં સ્થાપના દિવસ, સ્વાતંત્ર્ય દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી, કૃષિ મહોત્સવો, કન્યા કેળવણી જેવા અનેક ઇવેંટ્સમાં ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીને જોતી-સાંભળતી આવી છે. મોદીના નેતૃત્વમાં આ ઉત્સવો ગુજરાતની પ્રજા ક્યારેય નહીં ભુલાવી શકે.

86 વર્ષ અગાઉ સોંપ્યા હતાં પ્રથમ સરદાર
અમદાવાદ-ગુજરાતે 13મી એપ્રિલ, 1928ના દિવસે વલ્લભભાઈ પટેલને રાષ્ટ્ર સેવાર્થે સમર્પિત કર્યા હતાં અને તે જ વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભમાંથી સરદાર બની ગયા હતાં. આપણા ઇતિહાસમાં આ તારીખ અને દિવસને કોઈ મહત્વ નહીં અપાતું હોય, પણ અમદાવાદ-ગુજરાતની દૃષ્ટિએ આ દિવસ કોઈ સામાન્ય દિવસ નહોતો. આ એ જ દિવસ હતો કે જ્યારે વલ્લલભભાઈ પટેલે અમદાવાદ નગર પાલિકાના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ હતું તથા બારડોલી માટે રવાના થયા હતાં. બારડોલી સત્યાગ્રહને પટેલે જે નેતૃત્વ પ્રદાન કર્યું, તેનાથી અંગ્રેજ સરકાર આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. બારડોલીના કિસાનોએ પોતાના વિજયનો શ્રેય પોતાના ‘સરદાર'ને આપ્યો હતો અને અહીંથી જ વલ્લભભાઈ પટેલ ‘સરદાર પટેલ' તરીકે સ્થાપિત થયા હતાં. આમ ગુજરાતે 86 વર્ષ અગાઉ દેશને પ્રથમ સરદાર સોંપ્યા હતાં.

હવે સોંપી રહ્યું છે બીજો સરદાર
હવે ગુજરાત દેશને વધુ એક સરદાર સોંપી રહ્યું છે. નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છોટે સરદાર તરીકે વિખ્યાત છે. જોકે અત્યાર સુધી માત્ર ગુજરાતમાં સફળતા મેળવી છોટે સરદારનું બિરૂદ મેળવનાર નરેન્દ્ર મોદી આજે ભારે બહુમતીથી દેશની ચૂંટણી જીતી વાસ્તવમાં દેશના સરદાર બનવા જઈ રહ્યાં છે. આ સરદાર સોંપવાનો શ્રેય ગુજરાતને જાય છે, કારણ કે નરેન્દ્ર મોદી વડનગર-મહેસાણા-ગુજરાતના છે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે, નરેન્દ્ર મોદી વડોદરા-ગુજરાતના સાંસદ છે. આમ 86 વર્ષ બાદ ગુજરાત આજે ભારે હૈયે દેશને બીજો સરદાર નરેન્દ્ર મોદી તરીકે સોંપી રહ્યું છે.

નરેન્દ્ર મોદી પણ થયા ભાવુક
નરેન્દ્ર મોદી પણ આ વાત સુપુરે જાણે છે કે આજે તેઓ જે કંઈ છે, તે ગુજરાત અને તેની પ્રજાની બદોલત છે. એટલે જ નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં વિજય રેલી દરમિયાન ખુલ્લા મને સ્વીકાર્યું કે તેઓ ગુજરાતની પ્રજાનો ઋણ ક્યારેય નહીં ભુલે. નરેન્દ્ર મોદી ભાવુક પણ થઈ ગયા હતાં. તેમણે જણાવ્યું કે ગુજરાત તેમના માટે પિંડ છે કે જેના આધારે તેઓ હવે મા ભારતીની સેવા કરવા જઈ રહ્યાં છે.

13 વર્ષોં સે તુમ્હારી બક બક સુન રહા હૂં મૈં....
આ તબક્કે ફિલ્મ આનંદનો વધુ એક ડાયલૉગ યાદ આવી જાય છે કે જેમાં રાજેશ ખન્નાના મોત બાદ અમિતાભ બચ્ચન પોકારી ઉઠે છે - મૈં તુમ્હેં ઇસ તરહ ખામોશ નહીં હોને દૂંગા... 6 મહીને સે તુમ્હારી બક બક સુન રહા હૂં મૈં... બોલ બોલ કે મેરા સર ખા ગયે હો તુમ... બોલો.. બાતેં કરો મુઝસે... બાતેં કરો મુઝસે... બાતેં કરો મુઝસે.... જોકે અહીં નરેન્દ્ર મોદી ખામોશ નથી થયાં, કારણ કે તેમનો અવાજ હવે આખા દેશમાં સંભળાશે. આનંદની આ પંક્તિને આજના સંદર્ભે એક સામાન્ય ગુજરાતી આવી રીતે કહી શકે - મૈં તુમ્હેં ઇસ તરહ ખામોશ નહીં હોને દૂંગા... 13 વર્ષોં સે તુમ્હારી બક બક સુન રહા હૂં મૈં... બોલ બોલ કે મેરા સર ખા ગયે હો તુમ... બોલો.. બાતેં કરો મુઝસે... બાતેં કરો મુઝસે... બાતેં કરો મુઝસે....












Click it and Unblock the Notifications
