''સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત કંપનીઓને આકર્ષવા ગુજરાત ઉત્સુક''
ગાંધીનગર, 3 જાન્યુઆરી: ભારતમાં જ સંરક્ષણ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું ‘મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન' મહત્વપૂર્ણ બની રહેશે અને તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીઓની સ્પર્ધામાં વધારો થશે તેમ રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ગુજરાતે જે શ્રેષ્ઠ ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે તેના કારણે જ આજે આખું વિશ્વ ગુજરાત સાથે વ્યાપાર સહયોગ માટે ઉત્સુક છે ત્યારે ગુજરાત રાજ્ય પણ ઉડ્ડયન અને સંરક્ષણ ઉદ્યોગને આકર્ષવા ઉત્સુક છે. નજીકના ભવિષ્યમાં ગુજરાત રાજ્ય ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ પોલીસીની પણ જાહેરાત કરશે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું.
સંરક્ષણ ક્ષેત્રે ઉભરી રહેલી તકોનો લાભ લેવા અને ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે નીતિ નિર્ધારણ તેમજ યોગ્ય માળખા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી ૭મી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ૧૧મી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘ગુજરાતઃ સંરક્ષણના સાધનોના ઉત્પાદન માટેનું પસંદગીનું કેન્દ્ર' વિષય પર યોજાનાર આંતરરાષ્ટ્રીય સેમીનારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો વિચાર વિમર્શ કરશે.
હાલમાં ભારતની સંરક્ષણના સાધનોની ઉત્પાદન ક્ષમતાઓ ખુબજ ઓછી છે. સંરક્ષણ ઉદ્યોગ ભારતમાં વિકાસની ઉજળી તકોને ધ્યાનમાં લઇ રહ્યું છે ત્યારે સંરક્ષણની સાથે હોમલેન્ડ સિક્યુરિટિ અને નાગરિક ઉડ્ડયન જેવાં ક્ષેત્રે પણ વિકાસની સારી તકો રહેલી છે. સંરક્ષણક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મર્યાદામાં વધારો એક મહત્વપૂર્ણ તક છે, જેની મદદ વડે દેશમાં ખાનગીક્ષેત્રે સંરક્ષણ સાધનોના ઉત્પાદનના આધારને વિસ્તૃત બનાવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ભારતનું સૈન્યદળ ત્રીજા ક્રમનું છે અને સંરક્ષણક્ષેત્રે ખર્ચ કરવામાં દેશ આઠમાં ક્રમે છે. સંરક્ષણના સાધનોની ખરીદી પાછળ ૭૦ ટકા મૂડી ખર્ચ કરવા સાથે સમગ્ર વિશ્વમાં આજે ભારત સંરક્ષણના સાધનોની ખરીદી કરવામાં અગ્રણી છે અને સંરક્ષણ સાધનોનો વિશાળ હિસ્સો પ્રત્યક્ષરૂપે વિદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે. આ સાથે ભારતીય સંરક્ષણ દળોના આધુનિકિકરણને પણ વેગ મળશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર સંરક્ષણના સાધનોના ઉત્પાદનની નીતિ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને દેશમાં જ સંરક્ષણના સાધનોના ઉત્પાદનનો મજબૂત આધાર બનાવવાને પ્રોત્સાહન આપી રહી છે. બીજી તરફ ગુજરાત સંરક્ષણના સાધનોના ઉત્પાદનક્ષેત્રે વિશાળ હિસ્સો પ્રાપ્ત કરીને અર્થતંત્રને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મજબૂત માળખાકીય સુવિધાઓ અને ઉત્તમ ઉત્પાદન ક્ષેત્ર સાથે ગુજરાત પાસે ભારતના સંરક્ષણના સાધનોના ઉત્પાદનક્ષેત્રે ચાવીરૂપ ભુમિક ભજવવાની ઉત્તમ તક છે. ખાસ કરીને ગુજરાતમાં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના મજબૂત અને વિશાળ પાયા ઉપર આ ઉદ્યોગના વિકાસ માટે મોટી તક રહેલી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં કાર્યરત મધ્યમ અને નાના કદના ઉદ્યોગો (એમએસએમઇ) રાજ્યની સૌથી મોટું જમા પાસું છે, જેઓ પોતાની કામગીરી વિસ્તારી રહ્યાં છે અને તેઓ ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રની સમગ્ર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ સેમીનારમાં કેવી રીતે ગુજરાત પોતાની સકારાત્મક બાબતોની મદદથી ભારતમાં સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે ઉત્પાદનનો આધાર તૈયાર કરી શકે, તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સંરક્ષણ ઉદ્યોગના અગ્રણીઓ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહશે.
સંરક્ષણ ઉદ્યોગના વિકાસની ઉજળી તકો વિશે માહિતી આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગો માટેની સાનુકૂળ નીતિઓ અને સૂચિત સંરક્ષણના સાધનોના ઉત્પાદનની નીતિના આધારે યુદ્ધ જહાજો અને સબમરીન, સંરક્ષણ માટેના સાધનો, તોપ, વિમાનના નિર્માણક્ષેત્રની મોટી કંપનીઓના રોકાણને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં રાજ્યે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર લિમિટેડ અને એલએન્ડટી શીપબિલ્ડિંગ જેવી ખાનગી કંપનીઓ તરફથી જહાજ નિર્માણમાં રોકાણ મેળવ્યું છે. રાજ્યમાં સંરક્ષણના સાધનોના ઉત્પાદન માટેનો ખાસ ઝોન વિકસાવવાની પણ યોજના છે. સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રની ઘણી બધી કંપનીઓએ ગુજરાતમાં કામગીરી શરૂ કરવાની અથવા વિસ્તારવા અંગે રસ દર્શાવ્યો છે.