ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાત રોકવા કોલેજો અને કોચિંગ ક્લાસ માટે ગાઈડલાઈન જાહેર
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને રોકવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે હવે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સેન્ટરો માટે નવી મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે.

નવા નિયમ મુજબ, હવે શૈક્ષણિક સંસ્થાઓમાં દર 100 વિદ્યાર્થી દીઠ એક લાયકાત ધરાવતા કાઉન્સેલરની નિમણૂક કરવી ફરજિયાત રહેશે. જે સંસ્થાઓમાં 100 થી ઓછા વિદ્યાર્થીઓ છે, તેમણે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે જોડાણ કરીને રેફરલ સિસ્ટમ ઊભી કરવાની રહેશે.
ખાસ કરીને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણને ઘટાડવા માટે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે. ખાનગી કોચિંગ ક્લાસ હવે વિદ્યાર્થીઓના માર્ક્સ કે પરફોર્મન્સના આધારે તેમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકશે નહીં.
વિદ્યાર્થીઓને જાહેરમાં અપમાનિત કરવા કે તેમના પર વધુ પડતું દબાણ લાવવા પર સરકારે હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
દરેક સંસ્થાએ કેમ્પસ, હોસ્ટેલ અને વેબસાઈટ પર માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન નંબર અને નજીકની હોસ્પિટલની વિગતો દર્શાવવી પડશે. શિક્ષકો અને સ્ટાફ માટે વર્ષમાં બે વાર મેન્ટલ હેલ્થ ટ્રેનિંગનું આયોજન કરવું પડશે, જેથી તેઓ વિદ્યાર્થીઓની સમસ્યા સમજી શકે.
SC, ST, OBC અને અન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે ભેદભાવ મુક્ત અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હોસ્ટેલોમાં આત્મહત્યા રોકવા માટે પંખામાં સેફ્ટી ડિવાઇસ અને બાલ્કનીમાં ગ્રીલ લગાવવા જેવા ભૌતિક ફેરફારો કરવાના આદેશ અપાયા છે.
NCRB ના આંકડા મુજબ ગુજરાતમાં 2017 થી 2021 વચ્ચે 3,002 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 1 થી 2 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે, જેને રોકવા માટે આ ગાઈડલાઈન મહત્વની સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
