ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ખળભળાટ મચી ગયો છે. તબિયત લથડતા તેમને તાત્કાલિક અમદાવાદની પ્રખ્યાત યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં તેમને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થયું હતું. આ ગંભીર સ્થિતિને જોતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે તેમની સઘન સારવાર અને તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પ્રદ્યુમન વાજા સાંજના સમય સુધી મુખ્યમંત્રી સાથેના જાહેર કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અસ્વસ્થતા અનુભવતા તેઓ રૂટિન ચેકઅપ માટે જાતે જ હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં પરીક્ષણ દરમિયાન ડોક્ટરોને મંત્રીશ્રીના હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થિતિને ગંભીરતાથી લઈને તબીબોની ટીમે તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
સફળ ઓપરેશન બાદ મંત્રીના હૃદયમાં એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં તેમની સ્થિતિ સુધારા પર છે અને તેઓ ડોક્ટરોની સીધી દેખરેખ હેઠળ આરામ કરી રહ્યા છે.
યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીશ્રીની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર છે. ઓપરેશન બાદ તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે, જે રાહતના સમાચાર છે.












Click it and Unblock the Notifications
